

પાટણ, 26 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ શહેરના લીમડીચોક અને કસુંબીવાડા વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કતલખાના બંધ કરાવવા માટે સ્થાનિક રહીશોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. આ કતલખાના રહેણાંક વિસ્તારમાં આવેલા છે અને તેમની પાસે કોઈ સરકારી લાયસન્સ કે નગરપાલિકાની મંજૂરી નથી. પશુ કતલને કારણે ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી હોવાનો પણ સ્થાનિકોએ ઉલ્લેખ કર્યો છે.
રહીશો દ્વારા 24 જુલાઈ, 2025ના રોજ રજૂઆત બાદ 25 સપ્ટેમ્બર, 2025ના રોજ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સુનાવણી થઈ હતી. ત્યારબાદ 8 ઓક્ટોબર, 2025ના રોજ અનધિકૃત કતલખાનાઓને સાત દિવસમાં બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ સમય મર્યાદા વીતી ગયા છતાં આ એકમો હજુ પણ કાર્યરત છે.
લોહી અને હાડકાંના કચરાથી ગંદકી અને રોગચાળાનો ભય વધ્યો છે, તેમજ નજીકમાં મંદિરો અને મોટો રહેણાંક વિસ્તાર હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ચીફ ઓફિસરે 31 ડિસેમ્બર, 2025 સુધીમાં કતલખાના બંધ કરવાની જાહેરાત કરી હતી, છતાં સંચાલકો વધારાનો સમય માંગતા હોવા સામે રહીશોએ કોઈ પણ સમયમર્યાદા આપ્યા વગર તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ