
- ગોયલ નવા વર્ષમાં,
કેનેડામાં ઉચ્ચ સ્તરીય વેપાર અને રોકાણ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે
નવી દિલ્હી, 4 ડિસેમ્બર (હિ.સ) કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
પીયૂષ ગોયલ અને કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુએ, બુધવારે
પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર પર વાટાઘાટો ફરી શરૂ કરવા માટેના રોડમેપ, ઉદ્દેશ્યો અને
પદ્ધતિઓ પર ચર્ચા કરી.
બંને પક્ષો તાજેતરમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઇપીએ) તરીકે ઓળખાતા
કરાર પર વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા છે. તેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં
દ્વિપક્ષીય વેપારને 50 અરબ ડોલર સુધી
વધારવાનો છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ એક્સ-પોસ્ટ પર
પ્રકાશિત એક નિવેદનમાં જણાવ્યું હતું કે,” કેનેડા સાથે વેપાર અને વાણિજ્યિક
જોડાણને વધુ વધારવા માટે તેમણે આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિન્દર સિદ્ધુ સાથે
સારી ચર્ચા કરી છે.” ગોયલે વધુમાં લખ્યું છે કે,” વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (સીઇપીએ) વાટાઘાટો શરૂ
કરવાની તૈયારીના ભાગ રૂપે અમે એકંદર અભિગમ, માળખા, મેક્રો ઉદ્દેશ્યો અને પદ્ધતિઓ પર પ્રારંભિક અવકાશ અને
વ્યાપક ચર્ચાઓ કરી છે.”
ગોયલે ઉમેર્યું હતું કે,” બંને દેશો નવા વર્ષમાં કેનેડામાં
ઉચ્ચ સ્તરીય વેપાર અને રોકાણ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે પણ સંમત થયા છે.”
ઉલ્લેખનીય છે કે, કેનેડાએ 2023 માં ભારત સાથે કરાર માટે વાટાઘાટો અટકાવી દીધી
હતી, જ્યારે તત્કાલીન
વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં, ભારતની સંભવિત
કડીઓના આરોપો બાદ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો નોંધપાત્ર રીતે બગડ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ