
નવી દિલ્હી, 4 ડિસેમ્બર (હિ.સ.) કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે આરોપ લગાવ્યો કે, સરકાર તેમને
વિદેશી પ્રતિનિધિમંડળો અને અમલદારોને મળવાથી રોકે છે. તેમણે કહ્યું કે,” આ લોકશાહી
પરંપરાઓની વિરુદ્ધ છે અને વડાપ્રધાન અને વિદેશ પ્રધાનની અસુરક્ષાને પ્રતિબિંબિત
કરે છે.”
સંસદ ભવનના સંકુલમાં રશિયન પ્રતિનિધિમંડળ સાથેની મુલાકાત
અંગેના પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે,” પરંપરાગત રીતે, જ્યારે પણ કોઈ
વિદેશી મહેમાન ભારતની મુલાકાત લે છે, ત્યારે તેઓ વિરોધ પક્ષના નેતા સાથે પણ મુલાકાત કરે છે.”
તેમણે કહ્યું કે,” આ પરંપરા ભૂતપૂર્વ વડાપ્રધાનો અટલ બિહારી વાજપેયી અને મનમોહન
સિંહના કાર્યકાળની છે. વર્તમાન સરકારે આ પરંપરા તોડી છે.”
તેમણે કહ્યું કે,” જ્યારે પણ તેઓ વિદેશ પ્રવાસ કરે છે અથવા
જ્યારે વિદેશી અમલદારો ભારતની મુલાકાત લે છે, ત્યારે સરકાર તેમને વિરોધ પક્ષના નેતા સાથે ન મળવાની સૂચના
આપે છે. તેમને ઘણીવાર માહિતી મળી છે કે ભારત સરકારે સંબંધિત વિદેશી
પ્રતિનિધિમંડળોને તેમની સાથે ન મળવા કહ્યું છે.”
રાહુલે કહ્યું કે,” ભારત અને રશિયા વચ્ચે સારા સંબંધો રહ્યા
છે, પરંતુ વિપક્ષના
નેતાનો પણ એક અલગ દ્રષ્ટિકોણ છે, જે રાષ્ટ્રીય હિતમાં છે. દેશનું પ્રતિનિધિત્વ ફક્ત સરકાર
દ્વારા જ થતું નથી,વિપક્ષ પણ લોકશાહી રીતે દેશનું પ્રતિનિધિત્વ કરે છે. આ હોવા
છતાં, સરકાર ઇચ્છતી નથી
કે વિપક્ષી નેતાઓ વિદેશી પ્રતિનિધિઓ સાથે સંપર્ક કરે, જે લોકશાહીની
ભાવનાની વિરુદ્ધ છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ