


પોરબંદર, 8 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર વિધાનસભા વિસ્તારમાં બગવદર ગ્રામ પંચાયત ખાતે માનનીય કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકદરબારમાં પોરબંદર વિધાનસભા ક્ષેત્રના નાગરિકોએ હાજરી આપી રોડ - રસ્તાઓ, નાળા - વોકળા, વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિ, પડતર અરજીઓ, વિકાસ કામોની પ્રગતિ, દબાણ, રિસરફેસિંગ, ચેકડેમના ધોવાણ, નેસ વિસ્તારના પ્રશ્નો અને જમીન માપણી સહિતના વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો કરી હતી.
મંત્રીએ તમામ નાગરિકોની રજૂઆતોને પ્રત્યક્ષ રૂપે સાંભળી સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી તરત હાથ ધરવા દિશા-નિર્દેશ આપ્યા હતા. નાગરિકોની સમસ્યાઓના પારદર્શક અને ઝડપી નિરાકરણ માટે મંત્રીએ હકારાત્મક અભિગમ વ્યક્ત કર્યો હતો. લોકદરબાર દ્વારા નાગરિકો અને પ્રશાસન વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થતા પ્રજાહિતની પ્રક્રિયાને વધુ સક્રિય અને અસરકારક બનાવવા મદદ મળી છે.
આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરિય, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડા ઓડેદરા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત અને ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર ફેડરેશનના ડિરેક્ટર સામત ઓડેદરા, સર્વ ભુરાભાઈ કેશવાલા, વિરમ કારાવદરા, હાથિયા ખુટી, વિક્રમ ઓડેદરા,કાળુ ગોઢાણીયા, અરસી ખૂંટી, રાણા મોઢવાડિયા સહિત સ્થાનિક સરપંચઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ,આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિતિ રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સવારે અટલ ભવન, પોરબંદર ખાતે પણ મંત્રીની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાતિવારી, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી.
લોકદરબાર દ્વારા નાગરિકોના કલ્યાણના પ્રશ્નોના ત્વરિત અને ગુણવત્તાયુક્ત નિરાકરણ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya