નવી દિલ્હી, 29 મે (હિ.સ.). પ્રધાનમંત્રીએ, ગુરુવારે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર અને કૂચબિહાર જિલ્લામાં સિટી ગેસ વિતરણ (સીજીડી) પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટનો ખર્ચ રૂ. 1010 કરોડથી વધુ છે. તેનો ઉદ્દેશ્ય 2.5 લાખથી વધુ ઘરોને પાઇપ્ડ નેચરલ ગેસ (પીએનજી) પૂરો પાડવાનો છે. 100 થી વધુ વાણિજ્યિક સંસ્થાઓ અને ઉદ્યોગોને પણ આનો લાભ મળશે.
આ પ્રોજેક્ટ હેઠળ, લગભગ 19 સીએનજી સ્ટેશનો સ્થાપિત કરવામાં આવશે, જે વાહનો માટે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી) ઉપલબ્ધ કરાવશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ પ્રોજેક્ટ માત્ર સ્વચ્છ અને સલામત ગેસ પુરવઠો સુનિશ્ચિત કરશે નહીં, પરંતુ રોજગારીની તકો પણ ઉભી કરશે.
તેમણે કહ્યું કે, બંગાળનો વિકાસ ભારતના ભવિષ્યનો પાયો છે. આજે તે પાયામાં બીજી એક મજબૂત ઈંટ ઉમેરવાનો દિવસ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ પ્રોજેક્ટ ફક્ત પાઇપલાઇનનું કામ નથી, પરંતુ સરકારની યોજનાઓના 'ઘરે પહોંચાડવાનું' ઉદાહરણ છે.
તેમણે કહ્યું કે, અલીપુરદ્વારની ભૂમિ વિવિધ સંસ્કૃતિઓ સાથે સંકળાયેલી છે. આ સમૃદ્ધ ભૂમિ પર આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો પ્રારંભ થવાથી આ પ્રદેશનો વિકાસ થશે.
હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ