'ઓપરેશન સિંદૂર' પછી ગૃહમંત્રી અમિત શાહ, આજે પહેલી વાર જમ્મુ-કાશ્મીરની બે દિવસની મુલાકાતે રહેશે
જમ્મુ, નવી દિલ્હી, 29 મે (હિ.સ.). 'ઓપરેશન સિંદૂર' પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આજે પહેલી વાર જમ્મુ પહોંચી રહ્યા છે. શાહ સાંજે લગભગ 5 વાગ્યે જમ્મુ એરપોર્ટ પહોંચશે. તેઓ સાંજે જ સુરક્ષા એજન્સીઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા બેઠક કરશે. તેઓ રાત્ર
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ


જમ્મુ, નવી દિલ્હી, 29 મે (હિ.સ.). 'ઓપરેશન સિંદૂર' પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આજે પહેલી વાર જમ્મુ પહોંચી રહ્યા છે. શાહ સાંજે લગભગ 5 વાગ્યે જમ્મુ એરપોર્ટ પહોંચશે. તેઓ સાંજે જ સુરક્ષા એજન્સીઓ સાથે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા બેઠક કરશે. તેઓ રાત્રે રાજભવનમાં રોકાશે અને શુક્રવારે પૂંછ જશે.

આજે સાંજે યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્ય સચિવ, ડીજીપી જમ્મુ અને કાશ્મીર, સેના, સીઆરપીએફ, બીએસએફ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ રહેશે.

બેઠકમાં ઓપરેશન સિંદૂર પછીની વર્તમાન પરિસ્થિતિ, અમરનાથ યાત્રા માટેની સુરક્ષા વ્યવસ્થા પર વિગતવાર ચર્ચા થશે. ગૃહમંત્રી જમ્મુ વિભાગના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાનના હુમલાથી થયેલા નુકસાનની પણ ચર્ચા કરશે. આ વિસ્તારોમાં બંકર બાંધકામની વર્તમાન સ્થિતિ અને નવા બંકર બનાવવાની યોજના પર પણ ચર્ચા થઈ શકે છે. શુક્રવારે ગૃહમંત્રી, હેલિકોપ્ટર દ્વારા પૂંછ જશે. અહીં તેઓ પાકિસ્તાનના ગોળીબારથી પ્રભાવિત લોકોને મળશે. ગૃહમંત્રી પાકિસ્તાન દ્વારા નિશાન બનાવવામાં આવેલા ગુરુદ્વારાની પણ મુલાકાત લઈ શકે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઓપરેશન સિંદૂર પછી પહેલી વાર જમ્મુ અને કાશ્મીર આવી રહ્યા છે. 22 એપ્રિલની સાંજે પહેલગામના બાયસરનમાં થયેલા આતંકવાદી હુમલા પછી, શાહે તરત જ કાશ્મીરની મુલાકાત લીધી હતી. બીજા દિવસે તેમણે બાયસરનની પણ મુલાકાત લીધી હતી. 7 થી 10 મે સુધી ચાલેલા ઓપરેશન સિંદૂર પછી ગૃહમંત્રીની આ કેન્દ્રશાસિત પ્રદેશની પહેલી મુલાકાત છે. તેઓ ગુરુવારે સાંજે રાજભવનમાં બેઠક કરશે. બેઠકનું ધ્યાન પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પછી આંતરિક સુરક્ષા પર રહેશે. ખાસ કરીને જમ્મુની સુરક્ષા સ્થિતિ મુખ્ય મુદ્દો રહેશે. 3 જુલાઈથી 9 ઓગસ્ટ દરમિયાન યોજાનારી અમરનાથ યાત્રાની તૈયારીઓ પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

ડોડા, કિશ્તવાડ, કઠુઆ, ઉધમપુર, રાજૌરી અને પૂંછ જિલ્લાના ઉપરના વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરી છે. સુરક્ષા વ્યવસ્થા માટે આ એક મોટો પડકાર છે. આવી સ્થિતિમાં ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

શુક્રવારે શાહ, સરહદી જિલ્લા પૂંછની મુલાકાત લેશે અને નાગરિક વિસ્તારોમાં પાકિસ્તાની ગોળીબારથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરશે. તેઓ ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને પણ મળશે. મોટી સંખ્યામાં ઘરો અને વ્યવસાયિક સંસ્થાઓ ઉપરાંત, ધાર્મિક સ્થળોને પણ નુકસાન થયું છે. ગયા અઠવાડિયે પૂંછની મુલાકાત લેનારા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ, ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઘરો અને વ્યાપારિક માળખાઓને થયેલા નુકસાન માટે પેકેજની જાહેરાત કરશે.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / વીરેન્દ્ર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande