નવી દિલ્હી, 29 મે (હિ.સ.). પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું કે, 50 વર્ષ પહેલાં સિક્કિમે લોકશાહી ભવિષ્ય પસંદ કર્યું હતું અને આ રાજ્ય દેશના આત્મા સાથે જોડાયેલું હતું. આજે દેશ સિક્કિમની પ્રગતિનો સાક્ષી છે અને હવે આ રાજ્ય જૈવવિવિધતા, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને 100 ટકા ઓર્ગેનિક રાજ્ય તરીકે દેશનું ગૌરવ બની ગયું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે 'સિક્કિમ@50' કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કર્યો અને પૂર્વોત્તરની એકતા, સંતુલિત વિકાસ અને સશક્તિકરણનો સંદેશ આપ્યો. 'જ્યાં પ્રગતિ હેતુને પૂર્ણ કરે છે અને પ્રકૃતિ વિકાસને પોષણ આપે છે' થીમ પર આધારિત, આ કાર્યક્રમ સિક્કિમ રાજ્ય બન્યાના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં પહેલગામનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો ફક્ત ભારતીયો પર હુમલો નહોતો, પરંતુ માનવતાની આત્મા અને ભાઈચારાની ભાવના પર હુમલો હતો. તે આપણી સાંસ્કૃતિક એકતા અને સામાજિક તાણાવાણાને તોડવાનું કાવતરું હતું. આતંકવાદીઓએ નિર્દોષ પરિવારોની ખુશી છીનવી લીધી, પરંતુ ભારતે એક થઈને જવાબ આપ્યો. ઓપરેશન સિંદૂર દ્વારા, અમે આતંકવાદીઓને માત્ર પાઠ ભણાવ્યો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વને ચોક્કસ અને ઝડપી કાર્યવાહી કરવાની અમારી ક્ષમતા પણ બતાવી.
રાષ્ટ્રીય વિકાસના સંદર્ભમાં 'સબકા સાથ, સબકા વિકાસ' ના સિદ્ધાંતને પુનરાવર્તિત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, સમગ્ર ભારતના વિકાસ માટે પૂર્વોત્તરનું સશક્તિકરણ જરૂરી છે. તેમણે માહિતી આપી કે તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી ઉત્તર-પૂર્વ રોકાણ સમિટમાં ઘણા મોટા રોકાણકારોએ ભાગ લીધો હતો અને સિક્કિમ સહિત સમગ્ર ક્ષેત્રમાં રોકાણોની જાહેરાત કરી હતી.
સિક્કિમ અને ઉત્તરપૂર્વના જોડાણ અંગે, પ્રધાનમંત્રીએ માહિતી આપી કે, છેલ્લા દાયકામાં રાજ્યમાં 400 કિલોમીટરથી વધુ રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવામાં આવ્યા છે. અટલ સેતુ, બાગડોગરા-ગંગટોક એક્સપ્રેસવે અને સેવોક-રંગપો રેલ્વે લાઇન જેવા પ્રોજેક્ટ્સ રાજ્યને દેશના બાકીના ભાગ સાથે જોડવામાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, જ્યાં રસ્તા બનાવી શકાતા નથી, ત્યાં રોપવે બનાવવામાં આવી રહ્યા છે. તેમણે આજે ઉદ્ઘાટન કરાયેલા અનેક રોપવે પ્રોજેક્ટ્સનો ઉલ્લેખ કર્યો. તેમણે 500 બેડની હોસ્પિટલનો શિલાન્યાસ પણ કર્યો, જે ગરીબ અને વૃદ્ધ નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડશે.
પ્રધાનમંત્રીએ સિક્કિમના ખેડૂતોની પ્રશંસા કરી અને કહ્યું કે, રાજ્ય ઓર્ગેનિક ખેતીના ક્ષેત્રમાં ભારતનું નેતૃત્વ કરી રહ્યું છે. તાજેતરમાં, સિક્કિમના પ્રખ્યાત 'દલ્લે ખુરસાની' મરચાની નિકાસ કરવામાં આવી છે. તેમણે જાહેરાત કરી કે સોરેંગ જિલ્લામાં દેશનું પ્રથમ ઓર્ગેનિક ફિશરીઝ ક્લસ્ટર બનાવવામાં આવી રહ્યું છે, જે યુવાનોને માછીમારીમાં નવી તકો પૂરી પાડશે.
પ્રધાનમંત્રીએ, સિક્કિમને વૈશ્વિક પર્યટન સ્થળ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન, બૌદ્ધ મઠો, તળાવો, ધોધ અને શાંત વાતાવરણને વૈશ્વિક સ્તરે રજૂ કરવા વિશે વાત કરી. તેમણે ગોલ્ડન જ્યુબિલી કન્વેન્શન સેન્ટર અને સ્કાયવોક જેવા પ્રોજેક્ટ્સને ભવિષ્યના પર્યટન કેન્દ્રો તરીકે વર્ણવ્યા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, સિક્કિમને સાહસ, સુખાકારી, સંગીત અને કોન્ફરન્સ ટુરિઝમનું કેન્દ્ર બનાવવામાં આવશે. તેમણે ઉત્તરપૂર્વમાં યોજાયેલી જી-20 બેઠકોને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પ્રદેશની સંભાવના દર્શાવવાના પ્રયાસ તરીકે પણ વર્ણવી.
પ્રધાનમંત્રીએ, સિક્કિમના બાઈચુંગ ભૂટિયા અને તરુણદીપ રાય જેવા ખેલાડીઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, દરેક ગામમાંથી એક નવો ચેમ્પિયન ઉભરી આવવો જોઈએ. તેમણે ગંગટોકમાં નવા રમતગમત સંકુલની પ્રશંસા કરી અને કહ્યું કે, 'ખેલો ઇન્ડિયા' યોજના હેઠળ સિક્કિમને વિશેષ સમર્થન મળી રહ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ, સિક્કિમને 'ગ્રીન મોડેલ સ્ટેટ' બનાવવાના લક્ષ્યની જાહેરાત કરી. તેમણે દરેક ઘરને સૌર ઉર્જાથી પ્રકાશિત કરવા, ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને 'કચરાથી સંપત્તિ' જેવા પગલાંને મહત્વપૂર્ણ ગણાવ્યા. તેમણે કહ્યું કે સિક્કિમને ઓર્ગેનિક ફૂડ અને કૃષિ-સ્ટાર્ટઅપ્સના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં આવશે.
તેમણે 2047 સુધીમાં સિક્કિમને વિશ્વ મંચ પર વિકસિત, સમૃદ્ધ અને સશક્ત રાજ્ય તરીકે સ્થાપિત કરવાનો સંકલ્પ લીધો અને તમામ નાગરિકોને આગામી 25 વર્ષ આ માટે સમર્પિત કરવા વિનંતી કરી.
આ પ્રસંગે સિક્કિમના રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર અને મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીએ, સિક્કિમના સાંસ્કૃતિક વારસા, કુદરતી સૌંદર્ય અને માનવશક્તિની પ્રશંસા કરી અને કહ્યું કે, આ સુવર્ણ જયંતિ અવસર રાજ્યની વિકાસ યાત્રાને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
હિન્દુસ્થાન સમાચાર/અનુપ શર્મા/સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ