જમ્મુ, નવી દિલ્હી, 30 મે (હિ.સ.). કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આજે જમ્મુ અને કાશ્મીરની બે દિવસીય મુલાકાત દરમિયાન પૂંછની મુલાકાત લેશે. સવારે 11 વાગ્યે પૂંછ પહોંચ્યા બાદ, શાહ પાકિસ્તાનના ગોળીબારથી પ્રભાવિત સિંહ સભા ગુરુદ્વારાની મુલાકાત લેશે અને ડાક બંગલામાં અસરગ્રસ્ત લોકોને મળશે. તેઓ પાકિસ્તાનના ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના સંબંધીઓને નિમણૂક પત્ર પણ સોંપી શકે છે. આ પછી, ગૃહમંત્રી બીએસએફ ટેક્ટિકલ હેડક્વાર્ટરમાં તેમની સાથે વાત કરીને સૈનિકોનું મનોબળ પણ વધારશે.
આ પહેલા, શાહ ગુરુવારે મોડી સાંજે કડક સુરક્ષા વચ્ચે બે દિવસીય મુલાકાતે જમ્મુ પહોંચ્યા હતા. જમ્મુ ટેકનિકલ એરપોર્ટ પર લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, પ્રદેશ ભાજપ પ્રમુખ સત શર્મા અને પાર્ટીના ઘણા અન્ય વરિષ્ઠ નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંથી ગૃહમંત્રી લેફ્ટનન્ટ ગવર્નર સાથે ઇન્ટિગ્રેટેડ હેડક્વાર્ટરની બેઠકમાં ભાગ લેવા માટે રાજભવન જવા રવાના થયા હતા.
જમ્મુ રાજભવન ખાતે ઇન્ટિગ્રેટેડ હેડક્વાર્ટરની બેઠકમાં ગૃહમંત્રી શાહે, જમ્મુ અને કાશ્મીરના સુરક્ષા પરિદૃશ્યનો તાગ મેળવ્યો. આ બેઠકમાં અમરનાથ યાત્રાની સુરક્ષા, આતંકવાદ વિરોધી કામગીરી, ભારત-પાકિસ્તાન સંઘર્ષ પછીની સુરક્ષા સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં અમરનાથ યાત્રાને ભયમુક્ત અને સલામત બનાવવા માટે તૈયાર કરાયેલી યોજના પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. યાત્રા રૂટ પર સુરક્ષા દળોની તૈનાતી, તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન, ગુપ્ત માહિતીનું આદાન-પ્રદાન અને મજબૂત સુરક્ષા ગ્રીડ બનાવવાનું કહેવામાં આવ્યું. ગૃહમંત્રીએ, સરહદ પારથી ઘૂસણખોરીના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવવા જણાવ્યું.
લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્ય સચિવ અટલ દુલ્લૂ, સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાત, બીએસએફ ડીજી દલજીત ચૌધરી, સીઆરપીએફ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી.
હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ