નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.). દેશના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ શુક્રવારે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પીડિતો માટે રાહત કાર્યોમાં સંપૂર્ણ સહયોગ આપવાની ઓફર કરી.
આરઆઈએલ ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ, 'એક્સ' પોસ્ટ પર જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ અને તેમની પત્ની નીતા અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં થયેલા જાનમાલના નુકસાનથી ખૂબ જ દુઃખી અને વ્યથિત છે. અમે આ દુ:ખદ ઘટનાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરીએ છીએ. મુકેશ અંબાણીએ આગળ લખ્યું, દુઃખની આ ઘડીમાં, રિલાયન્સ ચાલુ રાહત પ્રયાસોને સંપૂર્ણ અને અટલ સમર્થન આપે છે અને દરેક શક્ય રીતે મદદ કરવા તૈયાર છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે અસરગ્રસ્ત તમામ લોકોને આ અકલ્પનીય નુકસાનને પાર કરવા માટે શક્તિ અને સાંત્વના મળે. ઓમ શાંતિ. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ગુજરાતના અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી મેડિકલ કોલેજ કેમ્પસમાં ક્રેશ થયું હતું, જેમાં 242 લોકોમાંથી 241 લોકોના મોત થયા હતા. એક મુસાફર બચી ગયો હતો. એર ઈન્ડિયાના જણાવ્યા અનુસાર, વિમાનમાં 169 ભારતીયો, 53 બ્રિટિશ નાગરિકો, સાત પોર્ટુગીઝ નાગરિકો અને એક કેનેડિયન નાગરિક સવાર હતા, ટેકઓફ થયાના થોડા સમય પછી વિમાનમાં આગ લાગી ગઈ હતી.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ