તેહરાન (ઈરાન)/તેલ અવીવ (ઈઝરાયલ), નવી દિલ્હી, 14 જૂન (હિ.સ.). ઈઝરાયલની લશ્કરી કાર્યવાહીના બદલાની આગમાં સળગી રહેલા ઈરાને તેના વળતા હુમલાથી પરિસ્થિતિ વધુ વિસ્ફોટક બનાવી દીધી છે. થોડા સમય પહેલા ઈરાનની રાજધાની તેહરાન અને ઈઝરાયલની રાજધાની તેલ અવીવમાં મોટા વિસ્ફોટ થયા છે. બંને દેશોએ મિસાઈલ અને ડ્રોન છોડીને લોકોને ડરાવી દીધા છે.
અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએનના સમાચાર મુજબ, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષમાં વધારો થવાને કારણે તેલ અવીવ અને તેહરાનમાં વધુ મોટા વિસ્ફોટ થયા છે. એવું લાગે છે કે ઈરાની મિસાઈલોએ જેરુસલેમમાં ભારે વિનાશ કર્યો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) એ સ્વીકાર્યું છે કે, ઈરાનની મિસાઈલોએ ઈઝરાયલમાં ગર્જના કરી છે. આ કારણે, ઉત્તર ઈઝરાયલમાં લાંબા સમય સુધી સાયરન વાગતા રહ્યા.
આ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના કાયમી પ્રતિનિધિ ફુ કાંગે જણાવ્યું હતું કે બીજિંગ, ઈઝરાયલની ઈરાન સામે લશ્કરી કાર્યવાહી બાદ સર્જાયેલી પરિસ્થિતિ અંગે ચિંતિત છે. બીજિંગ માને છે કે, આ ક્ષેત્રમાં વધતો તણાવ કોઈના હિતમાં નથી. ચીને કહ્યું કે, ઇઝરાયલે ઇરાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ન કરવું જોઈએ.
યુનાઇટેડ સ્ટેટ્સમાં ઇઝરાયલના રાજદૂત યેચિએલ લીટરે કહ્યું કે, ઇઝરાયલમાં ઇરાની હુમલામાં એક મહિલાનું મોત થયું છે અને લગભગ 40 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે આજે આપણે ઇરાન તરફથી ત્રણ બેલિસ્ટિક મિસાઇલોનો સામનો કર્યો છે. ઇરાને ગઈકાલથી લગભગ 150 મિસાઇલો છોડી છે. તેમણે કહ્યું કે ઇરાન પાસે ફક્ત 2,000 બેલિસ્ટિક મિસાઇલો છે. તે લાંબા સમય સુધી ટકી શકશે નહીં.
ધ ન્યૂ યોર્ક ટાઇમ્સના સમાચાર અનુસાર, ઇરાને તેના પરમાણુ સ્થળો પરના હુમલાના જવાબમાં ઇઝરાયલ પર મિસાઇલો છોડીને તેને મુશ્કેલીમાં મૂક્યું છે. ઇઝરાયલી લડાકુ વિમાનો અને ડ્રોને શુક્રવારે રાત્રે અને શનિવારે સવારે ઇરાનના ઘણા ભાગોમાં વિનાશ વેર્યો અને તેહરાનના પરમાણુ સ્થળો અને લશ્કરી નેતૃત્વ પર હુમલો કર્યો. હુમલાઓ પછી, ઇરાને બદલો લેવા માટે મિસાઇલોનો મારો ચલાવ્યો. આમાંની ઘણી મિસાઇલો તેલ અવીવમાં ઇમારતો પર અથડાઈ. આ દરમિયાન, ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું અને ડઝનેક ઘાયલ થયા.
અલ જઝીરાના સમાચાર મુજબ, ઈરાનના ઈઝરાયલ પરના તાજેતરના હુમલામાં ઓછામાં ઓછા 40 લોકો ઘાયલ થયા છે. ઈરાનનું કહેવું છે કે, ઈઝરાયલે ઈરાનમાં વરિષ્ઠ લશ્કરી અધિકારીઓ સહિત 78 લોકો માર્યા ગયા છે અને 320 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયલી સૈન્ય શહેરો, લશ્કરી સ્થળો અને પરમાણુ સુવિધાઓ પર હુમલા ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ