નિકોસિયા (સાયપ્રસ), નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બે દિવસીય (15-16 જૂન) સાયપ્રસની સત્તાવાર મુલાકાતે પહોંચ્યા છે. અહીં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય સમુદાયે પણ તેમની સાથે મુલાકાત અને ઓપરેશન સિંદૂર પર ખુશી વ્યક્ત કરી. તેમણે સાયપ્રસના લિમાસોલમાં, ભારત-સાયપ્રસ સીઈઓ ફોરમ બેઠકને સંબોધિત કરી. ભારત-સાયપ્રસ સીઈઓ ફોરમની બેઠક અંગે, વડા પ્રધાન મોદીએ તેમના એક્સ હેન્ડલ પર લખ્યું, રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસ અને મેં, ભારત અને સાયપ્રસ વચ્ચેના વ્યાપારી સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે અગ્રણી સીઈઓ સાથે વાતચીત કરી. નવીનતા, ઉર્જા, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં અપાર શક્યતાઓ છે. મેં છેલ્લા દાયકામાં ભારતના સુધારાના માર્ગ વિશે પણ વાત કરી. ભારત સાયપ્રસ સાથે મિત્રતાને વધુ ગાઢ બનાવવા માટે આતુર છે.
ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે ભારતીય સમુદાયને મળ્યા બાદ, વડા પ્રધાન મોદીએ બીજી પોસ્ટમાં લખ્યું, ''હું આ સ્નેહ માટે ભારતીય સમુદાયનો આભાર માનું છું. ભારત આવનારા સમયમાં સાયપ્રસ સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે કામ કરવાનું ચાલુ રાખશે.'' વડા પ્રધાન મોદીએ ભારત-સાયપ્રસ સીઈઓ ફોરમમાં કહ્યું કે, ભારત વૈશ્વિક સ્તરે પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. તે ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે, ભારત પાસે સ્પષ્ટ નીતિ છે.
ડિજિટલ પરિવર્તન ભારત માટે ગેમ ચેન્જર છે વડા પ્રધાન મોદીએ કહ્યું કે, ભારતે એક મહત્વપૂર્ણ ડિજિટલ ક્રાંતિનો અનુભવ કર્યો છે. આમાં, વિશ્વભરમાં 50 ટકા ડિજિટલ વ્યવહારો યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) દ્વારા થઈ રહ્યા છે. આ ડિજિટલ પરિવર્તન ભારત માટે ગેમ ચેન્જર રહ્યું છે. તેણે નાણાકીય સમાવેશ અને નવીનતાને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, છ દાયકા પછી એવું બન્યું છે કે સતત ત્રીજી વખત એક જ સરકાર ચૂંટાઈ આવી છે. છેલ્લા 10 વર્ષમાં ડિજિટલ ક્રાંતિ આવી છે. પ્રધાનમંત્રીએ, ફ્રાન્સની જેમ યુપીઆઈ માં સાયપ્રસનો સમાવેશ કરવા માટેની વાટાઘાટોનું સ્વાગત કર્યું. તેમણે ભારતની વધતી જતી આર્થિક શક્તિ અને ભવિષ્યના માળખાગત વિકાસ પર પણ ચર્ચા કરી. આ દરમિયાન, તેમણે નવા ઉત્પાદન મિશન, દરિયાઈ અને બંદર વિકાસ, જહાજ નિર્માણ અને ઝડપથી વિકસતા નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનો પણ ઉલ્લેખ કર્યો.
ભારતમાં ભવિષ્યના માળખાગત વિકાસમાં વાર્ષિક 100 અબજ ડોલરથી વધુનું રોકાણ તેમણે કહ્યું કે, ભારતે દેશના ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવા માટે ઉત્પાદન મિશન શરૂ કર્યું છે. તે ઇલેક્ટ્રોનિક્સ, માહિતી ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, બાયોટેકનોલોજી અને ગ્રીન ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો ઉદ્દેશ્ય દેશને સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, અમે ભારતમાં ભવિષ્યના માળખાગત વિકાસમાં વાર્ષિક 100 અબજ ડોલરથી વધુનું રોકાણ કરી રહ્યા છીએ. નવીનતા ભારતની આર્થિક શક્તિનો મજબૂત સ્તંભ બની ગઈ છે. અમારા એક લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ ફક્ત સપના જ નહીં, પણ ઉકેલો વેચે છે.
પરસ્પર વેપાર 150 મિલિયન ડોલર વડા પ્રધાન મોદીએ, રોકાણકારોને ભારતમાં સહ-વિકાસ, સહ-ડિઝાઇન અને સહ-ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું, ઘણી ભારતીય કંપનીઓએ સાયપ્રસને યુરોપના પ્રવેશદ્વાર તરીકે પણ જોયું છે. આજે પરસ્પર વેપાર 150 મિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે. આપણા સંબંધોની વાસ્તવિક સંભાવના આનાથી ઘણી વધારે છે. તમારામાંથી મોટાભાગના લોકો ભારત સાથે જોડાયેલા છો. તેમણે કહ્યું કે, કર સુધારા અને ઘણા કાયદાઓના અપરાધમુક્તકરણ પછી, સરકારે વ્યવસાય કરવાની સરળતાને મહત્વ આપ્યું છે. કર સુધારા પણ કરવામાં આવ્યા છે. જીએસટી સાથે એક રાષ્ટ્ર, એક કર પ્રણાલી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેટ ટેક્સ બનાવવામાં આવ્યો છે. આજે ભારત પાસે સ્પષ્ટ નીતિ છે. આ સાથે, એક સ્થિર નીતિ પણ છે.
સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય માટે માર્ગ મોકળો કરવોઉલ્લેખનીય છે કે, ભારતના વડા પ્રધાન 23 વર્ષ પછી સાયપ્રસ પહોંચ્યા છે. વડા પ્રધાનનો પહેલો કાર્યક્રમ, બિઝનેસ રાઉન્ડ ટેબલ પર કેન્દ્રિત છે. આ એ વાતનો સંકેત છે કે, ભારત અને સાયપ્રસ વચ્ચેના સંબંધોમાં લોકો-થી-લોકોનું જોડાણ કેટલું મહત્વપૂર્ણ છે. વડા પ્રધાન મોદીએ કહ્યું કે, ભારત આર્થિક સંબંધો બનાવવા માટે સાયપ્રસની પ્રતિબદ્ધતાને સમજે છે. ભારત-સાયપ્રસ આર્થિક સંબંધો પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતાને હું સમજું છું. ભારતીય અર્થતંત્ર નાગરિક ઉડ્ડયન અને સ્ટાર્ટ-અપ ક્ષેત્રોમાં વિકાસ કરી રહ્યું છે, જેમાં સેંકડો યુનિકોર્ન છે. ભારતીય કંપનીઓએ 1,000 થી વધુ વિમાનો માટે નવા ઓર્ડર આપ્યા છે. વડા પ્રધાન મોદીએ કહ્યું, અમે સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય માટે માર્ગ મોકળો કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે 2030 સુધીમાં 500 ગીગાવોટ નવીનીકરણીય ઊર્જાના લક્ષ્ય તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. 2030 સુધીમાં ગ્રીન શિપિંગ વિકસાવવામાં આવશે. રેલવેને 100 ટકા કાર્બન ન્યુટ્રલ બનાવવા માટે ઝડપી કાર્ય કરવામાં આવી રહ્યું છે.
સાયપ્રસથી કેનેડા જશે, જી-7 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે દિવસીય (16-17 જૂન) સત્તાવાર મુલાકાતનો બીજો મહત્વપૂર્ણ પડાવ કેનેડા હશે. તેઓ કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના આમંત્રણ પર જી-7 સમિટમાં ભાગ લેશે. આ પરિષદ કેનેડાના કનાનાસ્કિસમાં યોજાવાની છે. જી-7 સમિટમાં પ્રધાનમંત્રી મોદીની આ સતત છઠ્ઠી ભાગીદારી હશે. સમિટમાં, પ્રધાનમંત્રી જી-7 દેશોના નેતાઓ, અન્ય આમંત્રિત આઉટરીચ દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના વડાઓ સાથે ઊર્જા સુરક્ષા, ટેકનોલોજી અને નવીનતા, ખાસ કરીને એઆઈ-ઊર્જા જોડાણ અને ક્વોન્ટમ સંબંધિત મુદ્દાઓ સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. સમિટ દરમિયાન પ્રધાનમંત્રી, અનેક દ્વિપક્ષીય બેઠકો પણ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતના અંતિમ તબક્કામાં ક્રોએશિયા પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી આન્દ્રેજ પ્લેન્કોવિચના આમંત્રણ પર, પ્રધાનમંત્રી મોદી 18 જૂને ક્રોએશિયા પહોંચશે. ભારતીય પ્રધાનમંત્રીની ક્રોએશિયાની આ પહેલી મુલાકાત હશે. પ્રધાનમંત્રી તેમના સમકક્ષ પ્લેન્કોવિચ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે અને ક્રોએશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ જોરાન મિલાનોવિચને મળશે. ક્રોએશિયાની આ મુલાકાત, યુરોપિયન યુનિયનમાં ભાગીદારો સાથે સંબંધોને વધુ મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂકશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ