મુંબઈ, નવી દિલ્હી, 16 જૂન (હિ.સ.) પુનાના
માવલ તાલુકા વિસ્તારમાં, ઈન્દ્રાયાણી નદી પર પુલ તૂટી પડવાની ઘટનામાં અત્યાર
સુધીમાં ચાર લોકોના મોત થયા છે. આ ઘટનામાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) દ્વારા શરૂ
કરાયેલા બચાવ કાર્યમાં અત્યાર સુધીમાં 51 લોકોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આમાંથી આઠ લોકોની
હાલત ગંભીર છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ઘટનામાં મૃતકોના આશ્રિતોને 5 લાખ રૂપિયાની
આર્થિક સહાય અને ઘાયલોને સરકારી ખર્ચે સારવાર આપવાની જાહેરાત કરી છે. હાલમાં, સોમવાર સવારથી
બચાવ કાર્ય ચાલુ છે.
રવિવારે બપોરે ઈન્દ્રાયાણી નદી પરનો પુલ અચાનક તૂટી પડતાં
ઘણા પ્રવાસીઓ તણાઈ ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે,” પુલ તૂટી પડ્યો
ત્યારે અહીં લગભગ 100 પ્રવાસીઓ હાજર
હતા. આ ઘટનાની માહિતી મળતા જ એનડીઆરએફની બે ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ
અને બચાવ કાર્ય શરૂ કર્યું. રવિવાર મોડી રાત સુધીમાં, બચાવ કામગીરીમાં 51 લોકોને નદીમાંથી
બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી ચારના મોત થયા છે. મૃતકોની ઓળખ ચંદ્રકાંત સાઠલે, રોહિત માને, વિહાન માને અને
એક અન્ય વ્યક્તિ તરીકે થઈ છે, જ્યારે આઠ લોકોની હાલત ગંભીર છે. તેઓ હાલમાં સારવાર
હેઠળ છે. બાકીનાને થોડી ઇજાઓ થઈ છે.”
પુલ પરથી કેટલા લોકો પડી ગયા અને ગુમ થયા તે અંગે હજુ સુધી
કોઈ માહિતી નથી. જોકે, પ્રત્યક્ષદર્શીઓના
જણાવ્યા મુજબ, “બે-ત્રણ વધુ લોકો
ગુમ થવાની સંભાવના છે. તેથી, આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે. એનડીઆરએફની ટીમે, સોમવારે સવારે બચાવ કામગીરી ફરી શરૂ કરી
છે.”
વળતરની જાહેરાત-
મહારાષ્ટ્ર સરકારે પુલ તૂટી પડવાની ઘટનામાં વળતરની જાહેરાત
કરી છે. મુખ્યમંત્રી ફડણવીસે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને 5 લાખ રૂપિયાની
નાણાકીય સહાયની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના સીએમઓએ સોશિયલ મીડિયા
પર જણાવ્યું હતું કે,” મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે, રાજ્ય સરકાર પુના જિલ્લાના,
તાલેગાંવ નજીક ઈન્દ્રાયણી નદી પર પુલ તૂટી પડવાની ઘટનામાં માર્યા ગયેલા લોકોના
પરિવારોને 5 લાખ રૂપિયાની
નાણાકીય સહાય પૂરી પાડશે. આ ઉપરાંત, ઘાયલોની સારવારનો ખર્ચ પણ રાજ્ય સરકાર ઉઠાવશે.”
હિન્દુસ્થાન સમાચાર / રાજબહાદુર યાદવ / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ