-ડહેલી ગામને નથી મળી ગેસ લાઈન કે નથી એસટી બસની સગવડ
-આદિવાસી સમાજ અંતિમક્રિયા માટે સ્મશાને જવા કીમ નદીમાં પાણીમાં થઈને જવા મજબૂર
-ગામમાં નથી સારું માણસો માટેનું દવાખાનું કે પશુ દવાખાનું તો સાવ જ નથી
ભરૂચ 18 જૂન (હિ.સ.) ડહેલી ગામની 10 હજારથી વધુ વસ્તી હોવા છતાં અને તાલુકા મથક વાલિયા આશરે પાંચ કિલોમીટર દૂર છે ત્યાં ઘરેલુ વપરાશ માટે ગુજરાત ગેસ લાઇન છેલ્લા વર્ષથી કાર્યરત છે .પરંતુ ડહેલી ગામની વારંવાર માંગણી કરવા છતાં ગામને ગેસ લાઇન મળી નથી. ડહેલી તાલુકાનું સૌથી મોટું ગામ હોવા છતાં સીધી અમદાવાદ ,વડોદરા ,ગાંધીનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં આવેલ બારડોલી ઉનાઈ તરફના તીર્થસ્થળો માટે એકપણ એસટી બસ રૂટ ચાલુ નથી કર્યા. ગામમાંથી વાલિયા વાડી સ્ટેટ હાઇવે પસાર થતો હોય રૂટ વધારવા માંગણી છે . ઝંખવાવ વાડી તેમજ અંકલેશ્વર જીઆઇડીસીમાં રોજગારી માટે યુવાનો જતા હોય છે ત્યારે અંકલેશ્વર ભરૂચ બાજુ દર બે ત્રણ કલાકે બસ સુવિધા મળે તે પ્રમાણે રૂટ ચાલુ કરવા રાજેન્દ્રકુમાર ગણપતિશંકર ભટ્ટ ડહેલીનાઓએ માંગ કરી છે .
ડહેલી ગામની 10500 ની વસ્તી છે.તાલુકાનું સૌથી મોટું ગામ હોવા છતાં ગેસ લાઈન નથી,નેશનલાઈઝ બેંક નથી, આદિવાસી સ્મશાને જવાનો કીમ નદી ઉપર વર્ષોથી પુલની માંગણી કરેલ હોવા છતાં મજબૂરીએ ચોમાસામાં અંતિમક્રિયા કરવા માટે કીમ નદીના પાણીમાં થઈને જવું પડે છે.ડહેલી ગામમાં ખેડૂતો ખેતી અને પશુપાલન મોટાપાયે કરે છે ત્યારે ગામમાં એક પશુ દવાખાનું પણ નથી .ગામમાં સારા વિચાર અને વાંચન માટે લાઈબ્રેરી પણ નથી. તેમજ ગામના લોકોને માટે નાના કોઈ કાર્યક્રમ કે ભેગા થઈ ભજન કે અન્ય કાર્યો માટે કોમ્યુનિટી હોલ પણ નથી તો ગામમાં સુવિધાઓ કંઇ છે તે કહેવું મુશ્કેલ બની ગયું છે.
અમારા ડહેલી ગામની વસ્તી તાલુકામાં સૌથી વધારે છે પરંતુ મૂળભૂત સુવિધાઓ જેવીકે ગેસ લાઈન,એસટી બસ ,રાષ્ટ્રીયકૃત બેંક નથી,કીમ નદી ઉપર પુલ નથી ,પશુ દવાખાનું નથી અરે માણસો કોઈ બીમાર પડ્યા હોય તો તાત્કાલિક દવાખાનું પણ યોગ્ય નથી .ઘણી અગવડ અને મુશ્કેલીઓ પડે છે અમે સિનિયર સિટીઝન છીએ સરકાર અમારી તો દરકાર લેય અને ઉપરોક્ત માંગણીઓ ધ્યાને લઈ સુવિધાઓ આપે તેવી માંગણી છે .રાજેન્દ્રકુમાર ગણપતિશંકર ભટ્ટ ડહેલી
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ