પાટણ, 18 જૂન (હિ.સ.) : પાટણના તિરૂપતિ બંગ્લોઝમાં રહેતા પ્રશાંત ઠક્કરના અગ્નિસ્નાન કેસમાં નવો વળાંક આવ્યો છે. દુષ્પ્રેરણાની ફરિયાદના આધારે ચાર આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. પાટણના સેશન્સ જજ બિપીનભાઈ કે. બારોટે મૃતકના સાળા જૈમિન ભરતભાઈ અખાણીની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે અને તેમને 15 હજાર રૂપિયાના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. તેમના તરફથી એડવોકેટ એમ.ડી. પંડ્યા કોર્ટમાં હાજર રહ્યા હતા.
કોર્ટએ મૃતકની પત્ની રીટાબેન, ભરતભાઈ અખાણી અને રાજેશભાઈ અમૃતભાઈ અખાણીની આગોતરા જામીન અરજીઓ નામંજૂર કરી છે. સરકારી વકીલ શૈલેષભાઈ ઠક્કરે રજૂઆત કરી હતી કે મૃતકે આરોપીઓના ત્રાસના કારણે આત્મહત્યા કરી છે. તપાસ અધિકારીના સોગંદનામા મુજબ તેમની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી હોવાથી જામીન મંજૂર નહીં કરવામાં આવ્યા.
કોર્ટએ જણાવ્યું કે આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવશે તો તેની સમાજ પર નકારાત્મક અસર પડશે અને કાયદાની ગંભીરતા ઉપર જનવિશ્વાસ દુર્ભર બનશે. તેથી ત્રણેય આરોપીઓની આગોતરા જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી છે અને કેસની આગળની તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર