પાટણ, 18 જૂન (હિ.સ.) : અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં પાટણ તાલુકાના ચંદુમણા ગામના વૃદ્ધ દંપતી કુબેરભાઈ ખેમચંદદાસ પટેલ અને બબીબેન પટેલનું દુઃખદ અવસાન થયું છે. દંપતી લંડનમાં રહેતા પુત્રને મળવા માટે 12મી જૂને અમદાવાદ એરપોર્ટથી ગયા હતા.
ઉડાન ભર્યા બાદ માત્ર બે મિનિટમાં વિમાન ક્રેશ થયું હતું. દુર્ઘટનાની જાણ થતાં પરિવારજનો અને પુત્ર અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. દંપતી ગંભીર રીતે દાઝી ગયા હોવાથી તેમના મૃતદેહોની ઓળખ માટે DNA પરીક્ષણ કરાયું હતું, જેમાં પિતાનું DNA મેચ થયું છે, જ્યારે માતાનું DNA હજુ મેચ ન થતાં સોંપણીમાં વિલંબ થયો છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, ગુરુવાર બપોર સુધીમાં બંને મૃતદેહ હવાલે કરવામાં આવશે. ત્યારબાદ મૃતદેહોને વતન ચંદુમણા લાવવામાં આવી અંતિમ સંસ્કાર સિદ્ધપુર મુક્તિધામ ખાતે કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર