સોમનાથની આજુબાજુ પિકનિક મનાવવાના પાંચ ઉત્તમ સ્થળો ખળખળ વહેતું પાણી, વૃક્ષોની હરિયાળી, મોરના ટહૂકા અને આથમતા સૂર્યનું સાન્નિધ્ય
ગીર સોમનાથ 18 જૂન (હિ.સ.) દર વર્ષે ૧૮મી જૂનના દિવસે ''આંતરરાષ્ટ્રીય પિકનિક ડે'' ઉજવવામાં આવે છે. વ્યસ્ત સમયમાંથી પણ થોડો સમય કાઢી અને દોસ્તો અને પરિવારજનો સાથે ઉત્તમ પળો પસાર કરી શકાય એ માટે ૧૮મી જૂનના રોજ ''આંતરરાષ્ટ્રીય પિકનિક ડે''ની ઉજવણી
સોમનાથની આજુબાજુ પિકનિક


ગીર સોમનાથ 18 જૂન (હિ.સ.) દર વર્ષે ૧૮મી જૂનના દિવસે 'આંતરરાષ્ટ્રીય પિકનિક ડે' ઉજવવામાં આવે છે. વ્યસ્ત સમયમાંથી પણ થોડો સમય કાઢી અને દોસ્તો અને પરિવારજનો સાથે ઉત્તમ પળો પસાર કરી શકાય એ માટે ૧૮મી જૂનના રોજ 'આંતરરાષ્ટ્રીય પિકનિક ડે'ની ઉજવણી કરવામાં આવે છે.

પિકનિક શબ્દ મૂળ ફ્રેંચમાંથી આવ્યો છે. ટૂ પેક-એટલે કે ભોજન અને નેક-એટલે કે હળવું. આ બન્ને શબ્દને જોડીને શબ્દ બન્યો છે પિકનિક. વર્ષ ૧૭૪૮માં 'પિકનિક' શબ્દ અંગ્રેજીમાં પ્રચલિત થયો. વર્ષ ૧૮૪૬માં થોમસ કોલે 'અ પિકનિક' નામનું સુંદર દ્રશ્ય દોરેલું. જેમાં નદીની પાસે હરિયાળી વચ્ચે લોકો સંગીત અને ભોજન સાથે હળવી ક્ષણો માણતા જોવા મળે છે.

સોમનાથ જ્યોતિર્લિંગ આસ્થા અને શ્રદ્ધાનું મહત્વનું કેન્દ્ર છે. સોમનાથ આસપાસ પિકનિક ઉજવવા માટે પણ ઉત્તમ કહી શકાય એવી જગ્યાઓ આવેલી છે. જ્યાં ખળખળ વહેતું પાણી, વૃક્ષોની હરિયાળી, મોરના ટહૂકા અને આથમતાં સૂર્યનું સાન્નિધ્ય એકસાથે માણી શકાય છે.

સોમનાથમાં પ્રથમ જ્યોતિર્લિંગ ઉપરાંત પણ પિકનિક મનાવવાના પાંચ સ્થળો એવા છે. જેમની સુંદરતા આપનું મન મોહી લેશે. પરિવાર અને દોસ્તો સાથે જો આ સ્થળની મુલાકાત લેવામાં આવે તો જિંદગીભરનું યાદગાર સંભારણું સ્મરણપટ પર હંમેશને માટે અંકિત થઈ જશે.

આ સ્થળો છે ૧) ઓમનાથ મહાદેવનું મંદિર. ૨) શિતળા મંદિર ૩) વિક્રમેશ્વર મહાદેવનું મંદિર ૪) આદ્રી બીચ ૫) ગીતામંદિર...

૧) ઓમનાથ મહાદેવનું મંદિર :- સોમનાથથી આશરે ૧૭ કિલોમીટર દૂર ઊંબા ખાતે આવેલું ઓમનાથ મહાદેવનું મંદિર પણ પર્યટન સ્થળ તરીકે લોકોને આકર્ષે છે. દેવકા નદીના કિનારે વસેલું ઓમનાથ મહાદેવનું મંદિર પરિસર અદભૂત કુદરતી સૌંદર્ય ધરાવે છે. ૧૩મી સદીના નાગરશૈલીના આ શિવમંદિરની બહારની દિવાલો અપ્સરાઓ, નર્તકોથી સુશોભિત કરેલી છે. ઓમનાથ મહાદેવના પરિસરમાં નાના કુંડ જેવી જગ્યાઓમાં ન્હાવા માટે પરિવાર સાથે ઉમટી પડતાં હોય છે.

૨) શિતળા મંદિર :- વૃક્ષોની હરિયાળી અને હિરણ નદીના કાંઠે આવેલું શિતળા મંદિર પર્યટકોને આકર્ષે છે. આદ્યાત્મિકતા અને નૈસર્ગિક વાતાવરણ વચ્ચે અહીં વનભોજન કરવું એ પણ એક લ્હાવો છે. શિતળા સાતમના દિવસે અહીં ઉજાણી માટે સ્થાનિક નાગરિકો બહોળી સંખ્યામાં ઉમટી પડે છે. પ્રભાસ ક્ષેત્રમાં આવેલા સૂર્ય મંદિર પૈકીનું એક સૂર્ય મંદિર પણ શિતળા માતાના મંદિર પરિસરમાં જ આવેલું છે. આ સૂર્ય મંદિરની કોતરણી અને બાંધકામ ભારતના પૌરાણિક વારસાની સાક્ષી પૂરાવે છે.

૩) વિક્રમેશ્વર મહાદેવનું મંદિર :- ખળખળ વહેતી નદી, નજરની સામે જ્યાં જુઓ ત્યાં નારિયેળી જ નારિયેળી અને મોરના ટહૂકાઓથી ગૂંજતું વાતાવરણ. આ વિક્રમેશ્વર મહાદેવ મંદિરની ઓળખ છે. વેરાવળથી મંદિરની આસપાસનું વાતાવરણ એકદમ મનોરમ્ય અને શાંતિપૂર્ણ છે. ચોમાસામાં પ્રકૃતિ અહીં સોળે કળાએ ખીલી ઉઠેલી જોવા મળે છે.

૪) આદ્રી બીચ :- સોમનાથથી માત્ર ૧૪ કિલોમીટરના અંતરે આવેલું આદ્રી બીચ પણ એક દિવસીય પિકનિક મનાવવા માટેનું ઉત્તમ સ્થળ છે. અરબી સમુદ્ર કિનારે આવેલા આદ્રી બીચ પર મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. અહીંનું શાંત અને આધ્યાત્મભર્યું વાતાવરણ મનને એક અલગ જ શાંતિ આપે છે.

૫) ગીતામંદિર :- સોમનાથથી માત્ર ૨ કિલોમીટરના અંતરે ગીતામંદિર આવેલું છે. અહીંથી હિરણ, કપિલા અને સરસ્વતીનું મિલનસ્થળ જોવા મળે છે. અહીં મહાપ્રભુજીની બેઠક, ગૌલોકધામ, શ્રીકૃષ્ણ ચરણપાદુકા, બળદેવજીની ગુફા, લક્ષ્મીનારાયણ મંદિર વગેરે જગ્યાઓ જોવાલાયક છે. અહીં ગૌલૌકધામના પરિસરમાં પક્ષીઓના કલરવ વચ્ચે પરિવાર સહ વનભોજન કરવાનો લ્હાવો ચૂકવા જેવો નથી. હિરણ-કપિલા અને સરસ્વતીના સંગમસ્થાન પર સૂર્યાસ્તનાં દર્શન કરવા એ પણ મનને શાતા આપનારો અનુભવ છે.

તો, હવે જ્યારે પણ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવો ત્યારે પ્રકૃતિના સાન્નિધ્યમાં આવેલા આ પાંચ સ્થળોની મુલાકાત લેવાનું ન ભૂલતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande