કોલકતા, નવી દિલ્હી, 2 જૂન (હિ.સ.). જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા પહેલા પકડાયેલા શંકાસ્પદ આઈએસઆઈ એજન્ટ મતિરામ જાટને મોમિનપુરની એક દુકાનમાંથી 22 હજાર રૂપિયા મોકલવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) ની તપાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ એજન્સીને શંકા છે કે આ કેસ ટેરર ફંડિંગ સાથે સંબંધિત હોઈ શકે છે.
એનઆઈએ સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલકાતાના મોમિનપુર વિસ્તારમાં એક જ દુકાનમાંથી મતિરામના બેંક ખાતામાં ચાર વખત પૈસા મોકલવામાં આવ્યા હતા. પહેલી વાર 13 હજાર 500, પછી 15 હજાર, પછી પાંચ હજાર અને છેલ્લે 22 હજાર રૂપિયા. છેલ્લી રકમ 25 માર્ચે મોકલવામાં આવી હતી, જે પહેલગામ હુમલા પહેલા હતી. હવે તપાસ કરવામાં આવી રહી છે કે આ પૈસા હવાલા દ્વારા મોકલવામાં આવ્યા હતા કે નહીં.
આ સંદર્ભમાં, તાપસિયાની એક હોટલમાં કામ કરતા મોહમ્મદ વકીલની રવિવારે એનઆઈએ ઓફિસમાં ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી. એવું બહાર આવ્યું છે કે વકીલ એક ભૂતપૂર્વ સૈનિક છે અને તે ઈ-વોલેટ દ્વારા મતિરામને પૈસા પણ મોકલતો હતો. એનઆઈએ માને છે કે, આ પૈસા પાકિસ્તાની હેન્ડલર્સ દ્વારા આઈએસઆઈ એજન્ટને મોકલવામાં આવ્યા હતા.
હકીકતમાં, ગયા શનિવારે એનઆઈએ એ મોમિનપુરમાં તે દુકાન પર દરોડો પાડ્યો હતો જ્યાંથી આ રકમ મોકલવામાં આવી હતી. દુકાનના માલિકને સોમવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તપાસ એજન્સી દુકાનના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે જેથી પૈસા કોણે જમા કરાવ્યા તે શોધી શકાય.
એનઆઈએને શંકા છે કે, કોલકતા અથવા નજીકના રાજ્યના કોઈ વ્યક્તિ, જે આઈએસઆઈ માટે કામ કરે છે, તેણે જાણી જોઈને તે દુકાન દ્વારા મતિરામને પૈસા મોકલ્યા હતા. આ સૂચવે છે કે, દુકાનદાર જાસૂસી નેટવર્કનો ભાગ હોઈ શકે છે, જો સીધી રીતે નહીં, તો પરોક્ષ રીતે. એનઆઈએ હવે આ સમગ્ર ભંડોળ ચેનલની તપાસ કરી રહી છે અને આ નેટવર્કમાં બીજું કોણ સામેલ છે તે શોધવાનો પ્રયાસ કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / ઓમ પરાશર / સંતોષ મધુપ / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ