ઇન્ટરવ્યૂ: જ્ઞાનના આધારે ભારતને વિશ્વ ગુરુ બનાવવાનું મૂળ પ્રાચીન ગ્રંથોમાં ચિહ્નિત છે: એકનાથ શિંદે
- ''શાસ્ત્ર સંગ્રહાલય અને સંશોધન કેન્દ્ર''માંથી પ્રાચીન ગ્રંથોને બચાવવા માટે ઐતિહાસિક પહેલ વારાણસી, નવી દિલ્હી, 29 જૂન (હિ.સ.). ભારત તેના પ્રાચીન સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સંવર્ધન તરફ એક ઐતિહાસિક પગલું ભરી રહ્યું છે. કાશીની પવિત્ર ભૂમિ પર દ
મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ખાસ વાતચીત


- 'શાસ્ત્ર સંગ્રહાલય અને સંશોધન કેન્દ્ર'માંથી પ્રાચીન ગ્રંથોને બચાવવા માટે ઐતિહાસિક પહેલ

વારાણસી, નવી દિલ્હી, 29 જૂન (હિ.સ.). ભારત તેના પ્રાચીન સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને સંવર્ધન તરફ એક ઐતિહાસિક પગલું ભરી રહ્યું છે. કાશીની પવિત્ર ભૂમિ પર દેશનું પ્રથમ 'શાસ્ત્ર સંગ્રહાલય અને સંશોધન કેન્દ્ર'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય વેદ, ઉપનિષદ, પુરાણો અને અન્ય પ્રાચીન ગ્રંથોનું ડિજિટાઇઝેશન કરવાનો અને જ્ઞાનના આ અમૂલ્ય ખજાનાને આગામી પેઢીઓ સુધી પહોંચાડવાનો છે. આ કેન્દ્રની સ્થાપનાને, ભારતને 'જ્ઞાન-આધારિત વિશ્વ નેતા' બનાવવા તરફ એક મજબૂત પગલું માનવામાં આવી રહ્યું છે. આ વિષય પર, બહુભાષી સમાચાર એજન્સી 'હિન્દુસ્થાન સમાચાર' એ, મહારાષ્ટ્ર સરકારના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે ખાસ વાતચીત કરી હતી. અહીં મુખ્ય મુદ્દાઓ છે:

'શાસ્ત્ર મ્યુઝિયમ અને રિસર્ચ સેન્ટર' જેવી પહેલોની ભૂમિકા અને જરૂરિયાત વિશે વાત કરતા એકનાથ શિંદેએ કહ્યું કે, એકવીસમી સદીમાં જ્ઞાનના આધારે વિશ્વ નેતા બનવાનું ભારતનું સ્વપ્ન આપણા પ્રાચીન શાસ્ત્રો અને સાંસ્કૃતિક વારસામાં ઉદ્ભવ્યું છે. આ શાસ્ત્રોમાં ફક્ત ધાર્મિક સામગ્રી જ નહીં પરંતુ વિજ્ઞાન, ફિલસૂફી, જીવનશૈલી અને સંસ્કૃતિના ઊંડાણ પણ છે. આપણા શાસ્ત્રો આપણી સંસ્કૃતિનો આત્મા છે. તે ફક્ત ધાર્મિક જ નહીં પરંતુ જીવનશૈલી, વિજ્ઞાન અને ફિલસૂફીનો અદ્ભુત સંગમ પણ છે. જો આપણે તેમને સાચવી નહીં રાખીએ, તો આવનારી પેઢી ક્યારેય જાણી શકશે નહીં કે ભારત શું હતું.

ડિજિટાઇઝેશનના મહત્વ અને પ્રાચીન ગ્રંથોના સંરક્ષણમાં સરકારની ભૂમિકા અંગે શિંદેએ કહ્યું કે, કાશીમાં દેશના પ્રથમ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે ફક્ત ગ્રંથોના સંગ્રહનું કેન્દ્ર જ નહીં પરંતુ સંશોધન, અભ્યાસ અને તેમના ડિજિટલ રૂપાંતરણનું મુખ્ય માધ્યમ પણ બનશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા આ જ્ઞાનને ઘણી ભાષાઓમાં સામાન્ય જનતા માટે ઉપલબ્ધ કરાવવાની યોજના પણ બનાવવામાં આવી રહી છે. આમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનો સહયોગ પ્રશંસનીય છે. તેમણે કહ્યું કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટમાં સાંસ્કૃતિક વારસો અને શિક્ષણ માટે વિશેષ જોગવાઈની જાહેરાત, આ વાતનો પુરાવો છે.

થાણે જિલ્લા (મહારાષ્ટ્ર) થી આ અભિયાન શરૂ કરવાના વિશેષ મહત્વને સમજાવતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, મહારાષ્ટ્રનો થાણે જિલ્લો સંતોની ભૂમિ રહ્યો છે. થાણેનું ઊંડું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ છે. ત્યાંના પ્રાચ્યશાસ્ત્રી ડૉ. બેડેકર પાસે 60,000 થી વધુ દુર્લભ ગ્રંથોનો સંગ્રહ છે, જે સાચવવાની દિશામાં એક મોટું પગલું છે. આ અભિયાન ઔપચારિક રીતે ગુરુ પૂર્ણિમાથી અહીંથી શરૂ કરવામાં આવશે.

પ્રાચીન ગ્રંથોના સાચવવાના આ કાર્યમાં યુવાનોની ભૂમિકા પર ભાર મૂકતા શિંદેએ કહ્યું કે, આ પ્રયાસમાં યુવાનોની ભાગીદારી નિર્ણાયક રહેશે. જો યુવાનો આપણી સંસ્કૃતિ, શાસ્ત્રો અને સ્થાપત્યની ઊંડાઈને સમજે છે, તો તેઓ તેને અન્ય લોકો સુધી પણ પહોંચાડી શકશે. આ કાર્ય જે ગતિએ કરવાની જરૂર છે. તેના માટે યુવા ઉત્સાહ અને મજબૂત ઇચ્છાશક્તિની જરૂર પડશે. ભારત એક યુવા રાષ્ટ્ર છે, આ યુવાનો તેને જ્ઞાનમાં અગ્રેસર બનાવી શકે છે. આ યુવાનોનું કર્તવ્ય છે કે તેઓ પોતાની ઉર્જાથી રાષ્ટ્રને પ્રગતિના માર્ગ પર લઈ જાય અને ભારતને આધ્યાત્મિક શક્તિ તરીકે સ્થાપિત કરીને વિશ્વને અગ્રણી બનાવવામાં યોગદાન આપે.

શિંદેએ, આ પવિત્ર કાર્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના યોગદાનને ખાસ નોંધપાત્ર ગણાવ્યું. તેમણે કહ્યું કે, સંઘ ફક્ત આ ગ્રંથોનું જ રક્ષણ કરી રહ્યું નથી, પરંતુ પડકારોને તકો તરીકે ગણીને દેશભક્તિ અને સાંસ્કૃતિક ચેતનાનો પણ ફેલાવો કરી રહ્યું છે. આ ચેતના દેશના યુવાનોને સાચા માર્ગ પર લાવવામાં અથવા રાખવામાં મદદરૂપ સાબિત થશે. તેમણે કહ્યું કે, આ વર્ષ સંઘનું શતાબ્દી વર્ષ પણ છે. આવી સ્થિતિમાં, આ શતાબ્દી વર્ષ એક યોગ્ય પ્રસંગ છે, જેમાં આપણે આ પહેલ શરૂ કરી રહ્યા છીએ. ગુરુ પૂર્ણિમાથી શરૂ કરીને, આ કાર્ય રાષ્ટ્રવ્યાપી સ્વરૂપ લેશે.

શૈક્ષણિક સંસ્થાઓમાં વેદ અને ઉપનિષદના જ્ઞાનનો સમાવેશ કરવાની યોજના અંગે તેમણે કહ્યું કે, નવી શિક્ષણ નીતિ હેઠળ, આ ગ્રંથોમાંથી અંશોને અભ્યાસક્રમમાં સમાવવાનો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, જો બાળપણથી જ નાના મુદ્દાઓના રૂપમાં માહિતી આપવામાં આવે, તો બાળકોમાં સાંસ્કૃતિક ચેતના અને જ્ઞાન બંનેમાં વધારો શક્ય છે. તેમણે કહ્યું કે, ડિજિટાઇઝેશનનો ઉદ્દેશ્ય ફક્ત સંગ્રહ પૂરતો મર્યાદિત નથી, પરંતુ આ કાર્ય દરેક જિલ્લામાં થવું જોઈએ, જેથી દરેક શૈક્ષણિક સંસ્થા આ જ્ઞાન સાથે જોડાઈ શકે.

પ્રાચીન ગ્રંથોના સંરક્ષણ અને પ્રમોશનની આ યોજનાને રાષ્ટ્રીય જાગૃતિ તરફ એક પગલું ગણાવતા એકનાથ શિંદેએ કહ્યું કે, આ પહેલ એક સરળ સંગ્રહાલય નિર્માણ કરતાં ઘણી વધારે છે. આ ભારતીયતાના મૂળ, તેની ચેતના અને તેની વૈજ્ઞાનિક વિચારસરણીને ફરીથી સ્થાપિત કરવાનો પ્રયાસ છે. જો સરકાર, સમાજ અને યુવાનો આ દિશામાં સાથે મળીને કામ કરે છે, તો તે ફક્ત ભૂતકાળનું સંરક્ષણ સાબિત થશે નહીં, પરંતુ ભવિષ્યની દિશા નક્કી કરવા તરફનું એક પગલું પણ સાબિત થશે. તેમણે કહ્યું કે, જેમ કહેવાય છે કે જ્ઞાન વહેંચવાથી વધે છે અને આ પ્રાચીન જ્ઞાન ભારતને ફરીથી વિશ્વ નેતા બનાવશે.

હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande