નવસારી, 4 જૂન (હિ.સ.)-છેલ્લા ઘણા વર્ષોમાં નવસારી જિલ્લા સહિત રાજ્યના વન વિસ્તારમાં સામાજિક વનીકરણ વાવેતર દ્વારા સકારાત્મક પરિવર્તન આવ્યું છે. આ વન વિસ્તાર વધારવા અને ટકાવી રાખવા નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણથી લઇ વૃક્ષોની જાળવણી સુધીની તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.
નવસારી જિલ્લામાં આવેલ જાનકીવન, આરક સિસોદ્રા, સીમળગામ તેમજ ગણદેવા એક્સપ્રેસ હાઇવે પાસે વનકવચ વિકસાવવામાં આવ્યા છે. જે પડતર જમીનને ગાઢ વનમાં પરિવર્તિત કરવામાં અને જૈવ વિવિધતા વધારવામાં મહત્વની ભાગીદારી નોંધાવી રહી છે.
નવસારી જિલ્લાના સુપા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિના પટેલે નવસારી જિલ્લામાં વનકવચ પધ્ધતિથી તૈયાર થતા વનો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય દ્વારા ઝડપથી વન વિકસાવવાની પધ્ધતિ વિકસાવવામાં આવી છે જેનું નામ છે વન કવચ. નવસારી જિલ્લામાં વિવિધ જગ્યાઓએ વનકવચ પધ્ધતિથી વનો ઉભા કરવામાં આવ્યા છે. જે પર્યાવરણ, પશુ પક્ષીઓ અને વન્યસંપદા માટે ફાયદાકારક સાબીત થશે. જેમાં નવસારી જિલ્લામાં જાનકીવન ખાતે, આરક સિસોદ્રા ખાતે, સીમળગામ ખાતે તેમજ ગણદેવા એક્સપ્રેસ હાઇવે પાસે વનકવચ વિકસાવવામાં આવ્યા છે.
નવસારી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 04 જગ્યા ઉપર ૬.5 હેક્ટર વિસ્તારમાં વનકવચ પદ્ધતિથી 65 હજાર દેશી રોપાઓના વાવેતર કરાયા છે. ચાલુ વર્ષે 14હેકટરના વિસ્તારમાં નવી 11 જેટલી જગ્યાઓ ઉપર વન કવચના માધ્યમથી 1 લાખ 40 હજાર રોપાનું વાવેતર કરવામાં આવશે.
ગયા વર્ષે સુપા રેન્જના સીમળગામમાં 04 હેક્ટર જમીનમાં 40 હજાર રોપા મારફત વન કવચનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેમાં 107 પ્રજાતિના અલગ અલગ રોપાનું આયોજનબધ્ધ વાવેતર કરવામાં આવ્યુ છે. આજે સિમળગામમા ઉભા કરવામાં આવેલ વન કવચના રોપાને જરૂરી માવજત કરતા હયાત રોપાની ઉંચાઇ વધીને 10 થી 15 ફુટ થઇ ગઇ છે. આટલુ જ નહિં અહિં જૈવ વિવિધતા પણ ખુબ જોવા મળી રહી છે. જેમાં 23 પ્રકારના પતંગિયા અને 36 પ્રકારના પંખીઓ આ વન કવચને પોતાના ઘર સ્વરૂપે અપનાવ્યું છે. ગામના લોકો અને સહેલાણીઓ આ જગ્યાને પ્રવાસન સ્થળ તરીકે અપનાવી રહ્યા છે.
આમ, વનકવચ પદ્ધતિથી તૈયાર કરેલ વનો 30 ગણા ગાઢ તથા 10 ગણા ઝડપથી વિકસે છે આ પધ્ધતિથી માત્ર 01 કે 02 વર્ષમાં જ ગાઢ વન ઉભું કરી જૈવ વિવિધતાનો પણ સારો વિકાસ કરી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે