વલસાડ, 4 જૂન (હિ.સ.)-વલસાડ જિલ્લાના વાપી તાલુકા કોપરલીના મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતા ગરીબ આદિવાસી પરિવારની 1.5 વર્ષીય હિયા સંજય નાયકાને હ્રદયના કાંણાની બીમારી કોન્જીનેન્ટલ હાર્ટ ડિસિઝ (CHD) હોવાથી બાળકીના જીવન સામે મોટું સંકટ ઊભું થયું હતું. પરંતુ આવા સમયે કોપરલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પરિવારને કેન્દ્ર સરકારની સંદર્ભ કાર્ડ યોજના વિશે યોગ્ય માહિતી પૂરી પાડી તાત્કાલિક સંદર્ભ કાર્ડ બનાવી આપવામાં આવ્યું હતું. સરકારી સહાયથી બાળકીનું અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં આશરે રૂ.2 થી 2.5 લાખના ખર્ચે થતું ઓપરેશન વિનામુલ્યે થયું હતું. તેથી આજે હિયા તંદુરસ્ત અને ખુશહાલ જીવન વ્યતીત કરી રહી છે.
કોપરલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વર્ષ 2024માં આયુષ મેડિકલ ઓફિસર ડૉ. તૃષાની પટેલ દ્વારા સગર્ભાની 8માં મહિના દરમિયાન પ્રાથમિક તપાસમાં સોનોગ્રાફી સમયે બાળકને હ્રદયમાં તકલીફ છે, એવી જાણ થઈ હતી. ત્યારબાદ સગર્ભાને આરબીએસકે ટીમ દ્વારા વધુ તપાસ માટે એસએચઓ ચલા ખાતે મોકલવામાં આવ્યા હતા. જ્યાં આ તકલીફ વધુ ગંભીર નથી એવું નિદાન થયું હતુ. તેથી આયુષ મેડિકલ ઓફિસર દ્વારા સગર્ભાની રેગ્યુલર હોમ વિઝિટ કરવામાં આવી હતી અને અમદાવાદ સિવિલ ખાતે ડિલીવરી કરાવવામાં આવી હતી. જન્મ સમયે બાળકીનું વજન સામાન્ય હતું અને હ્રદયમાં પણ વધુ તકલીફ ન હતી. બાળકીનું વજન વધારવા પોષણક્ષમ આહાર અને જરૂરી સારવાર કોપરલી પી.એચ.સી ખાતે ચાલુ રાખવામાં આવી હતી. બાળકીનો સમયાંતરે ઈકો કાર્ડિયોગ્રામ પણ કરવામાં આવી રહ્યો હતો.
હિયાના માતા પિન્કી સંજય પટેલે જણાવ્યું હતું કે, “સિવિલ હોસ્પિટલમાં હિયાનો જન્મ થયો ત્યારબાદ યુ.એન. મેહતા હોસ્પિટલમાં બાળકીની તપાસ થઈ હતી. તે સમયે તેને સારું હતું. પરંતુ જન્મના આઠમાં મહિનામાં અચાનક એક રાત્રિએ હિયાને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી તેને તરત પી.એચ.સી.માં લાવ્યા હતા ત્યાંથી તપાસ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. ત્યાં તપાસ કરતાં ઓપરેશન કરવું પડશે એમ જણાવ્યું હતું. અમારી પાસે સરકારી યોજનાની માહિતી ન હતી તેથી પીએચસીના ડૉક્ટરે સંદર્ભ કાર્ડ બનાવી આપ્યો હતો. યુ.એન.મેહતા હોપિટલમાં માં તરત જ હિયાનું મફતમાં ઓપરેશન થઈ ગયું હતું અને આજે તે સ્વસ્થ – તંદુરસ્ત છે. મફત સારવારથી મારી બાળકીનું જીવન બચાવવા બદલ સરકારનો ખુબ આભાર માનું છું.”
આયુષ મેડિકલ ઓફિસર ડૉ. તૃષાની પટેલે બાળકીની બીમારીની વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, હિયાને કોન્જીનેન્ટલ હાર્ટ ડિસિઝ (CHD) એટલે કે હ્રદયમાં કાણાંની બીમારી હતી. જન્મ સમયે તેને સ્થિતિ સામાન્ય હતી પરંતુ જન્મના આઠમાં માસ દરમિયાન તેની સ્થિતી અચાનક બગડી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેનું શરીર પણ ભુરું પડી ગયું હતું. તેથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી બાળકીના પરિવારને કેન્દ્ર સરકારની સંદર્ભ કાર્ડ યોજનાની માહિતી આપી સંદર્ભ કાર્ડ બનાવી આપ્યું હતું. સમજાવટ બાદ બાળકીનો પરિવાર ઓપરેશન કરાવવા માટે તૈયાર થતાં યુ.એન. મેહતા હોસ્પિટલામાં બાળકીના હ્રદયનું વીએસડી ક્લોઝર અને પીડીએ લાઈજેશનની સર્જરી કરી સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું.આજે હિયા સ્વસ્થ છે.
પીએચસીની ટીમ દ્વારા હોમ વિઝિટ કરી સતત બાળકીના સ્વાસ્થ્યની માહિતી લેવામાં આવે છે અને સતત ફોલોઅપ લેવામાં આવે છે. પરિવારને બાળકીની ઓપરેશન પછી રાખવાની કાળજી વિશે પણ માહિતી આપવામાં આવી હતી અને રેગ્યુલર ચેકઅપ પણ કરાઈ રહ્યું છે. સંદર્ભ કાર્ડ યોજના ગરીબ આદિવાસી બાળકોના સ્વાસ્થને સુરક્ષિત રાખવામાં અત્યંત લાભદાયી નીવડી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે