ગાંધીનગર, 4 જૂન (હિ.સ.) : અમદાવાદ શહેરની મધ્યેથી પસાર થતી સાબરમતી નદીને સાફ અને સ્વચ્છ કરવાના સ્વચ્છતા અભિયાન પ્રોજેકટમાં આવતીકાલે તા. 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે હોમગાર્ડઝના પાંચ હજારથી વધુ જવાનો અને સિવિલ ડિફેન્સના સાતસોથી વધુ સ્વયંસેવકો પણ લોકભાગીદારી કરી જોડાશે અને સાબરમતી નદીને સ્વચ્છ કરવામાં તેમની નિષ્કામ માનદ્ સેવા આપશે. આ દિવસે સાબરમતી નદીના પશ્ચિમ છેડે સરદાર બ્રિજની નીચે NID પાસેના પટ્ટા-વિસ્તારમાં તેમજ નદીના પૂર્વ છેડે અટલ બ્રિજની નીચેના ઘાટ વિસ્તારમાં નદીમાંથી મોટા પાયે કચરો એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કરવાનું વિશેષ આયોજન હાથ ધરાયું છે.
સાબરમતી રિવરફ્રન્ટ પ્રા.લિ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે સાબરમતી નદીને સાફ કરવાનું સ્વચ્છતા મહાઅભિયાન છેલ્લા બે સપ્તાહથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા તબક્કામાં અને ભાગોમાં નદીની સાફ-સફાઇ હાથ ધરાઇ રહી છે. જે અંતર્ગત સાબરમતી નદીના પશ્ચિમ છેડે ચાર બ્લોક અને પૂર્વ છેડે પાંચ બ્લોક પાડી જુદા જુદા ઝોન, વિભાગો, સામાજિક સંસ્થાઓ, એનજીઓ સહિતના લોકોના શ્રમદાનની લોકભાગીદારીથી હાલ નદીને સાફ કરવાની કામગીરી ચાલુ છે.
જેમાં અમદાવાદ શહેર પૂર્વ-પશ્ચિમના પાંચ હજારથી વધુ હોમગાર્ડઝ જવાનો અને સિવિલ ડિફેન્સના સાતસોથી વધુ સ્વયંસેવકો સાબરમતી નદીને સાફ કરવામાં પોતાની સ્વૈચ્છિક માનદ સેવા આપશે. જે અંતર્ગત અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમના તમામ ડિવિઝનના અધિકારીશ્રીઓ અને હોમગાર્ડઝ જવાનો તા.૫મી જૂને વહેલી સવારે 6:45 કલાકે સંપૂર્ણ સંખ્યામાં હાજર રહેવાના છે.
આ મહાઅભિયાનમાં હોમગાર્ડઝના વડા કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલ IPS, જોઈન્ટ ડાયરેક્ટર સીવીલ ડિફેન્સ શ્રીપાલ શીસ્માં અને DYSP એ.એ. શેખ, SSO મનીષભાઈ ત્રિવેદી, અમદાવાદ શહેર પશ્ચિમના હોમગાર્ડઝ જિલ્લા કમાન્ડન્ટ કુમાર પટેલ, પૂર્વના જિલ્લા કમાન્ડન્ટ સ્નેહલ પટેલ, સીવીલ ડિફેન્સના ચીફ વોર્ડન બાબુભાઈ ઝડફિયાનાઓનાં માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર પૂર્વ - પશ્ચિમ જિલ્લાના હોમગાર્ડઝ અને સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો જોડાશે. જેમાં સાબરમતી નદીને સ્વચ્છ કરવાના આ બહુ મોટા સેવાયજ્ઞામાં નૈતિક ફરજના ભાગરૂપે સ્વચ્છતાના કાર્યક્રમમાં જોડાઇ નદીના પશ્ચિમ છેડે સરદાર બ્રિજ પાસે આવેલ રેમ્પની આજુબાજુનો વિસ્તાર-NID પાસે અને પૂર્વ છેડે અટલ બ્રિજની નીચેના ઘાટની આજુબાજુનો વિસ્તારમાં નદીની સ્વચ્છતા કામગીરી મોટાપાયે હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ પદાધિકારીઓ, અધિકારીઓ, સ્થાનિક ધારાસભ્ય કૌશિકભાઈ જૈન સહિતના મહાનુભાવો પણ અભિયાનમાં જોડાનાર છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજય હોમગાર્ડઝ દળ એ માનદ્ દળ છે અને તમામ કુદરતી અને પ્રાકૃતિક આપત્તિઓ, કટોકટીના સમય કે આકસ્મિક સંજોગોમાં સદાય પોતાની નિષ્કામ માનદ્ સેવા આપવા તત્પર રહે છે. ગત સમયમાં જ્યારે ગુજરાતમાં વિનાશક ભૂકંપ, રાજયમાં પૂર અને પ્રલયની પરિસ્થિતિ, કોરોના મહામારીના ભયાવહ કપરા કાળ સહિતના અનેક પ્રસંગો હોમગાર્ડ્ઝ ડિપાર્ટમેન્ટ અને તેના જવાનોએ બહુ નોંધનીય અને બહુમૂલ્ય કહી શકાય તેવી સેવાઓ આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ