સુરત, 4 જૂન (હિ.સ.)-શહેરના હજીરા રોડ નજીક હવેલી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ મંજૂરી વિના ‘ઓપરેશન સિંદૂર’ થીમ આધારિત ટ્રાફિક સર્કલ બનાવી દેવામાં આવ્યું છે. આ સર્કલમાં આર્મી જવાનના કટઆઉટ, લડાકુ વિમાનો અને દેશભક્તિથી ભરેલા સંદેશો જોવા મળી રહ્યા છે. આ સાથે ‘ઓપરેશન સિંદૂર’ લખાયેલું નામ પણ મૂકવામાં આવ્યું છે.
વિશેષ વાત એ છે કે, સુરતના સાંસદ મુકેશ દલાલે તાજેતરમાં જ પાલિકાને પત્ર લખી રાંદેર વિસ્તારમાં આવો જ થીમ આધારિત સર્કલ બનાવવા માટે રજૂઆત કરી હતી. તેમ છતાં, જે સ્થળનો ઉલ્લેખ પત્રમાં કરવામાં આવ્યો છે તેમાંથી એક જગ્યાએ પહેલેથી જ આવા પ્રકારનું સર્કલ બની ચૂક્યું છે.
આ મુદ્દે લોકોમાં ચર્ચા છે કે, આ સર્કલ બનાવવા પાછળ કોણ જવાબદાર છે અને શું પાલિકાની મંજૂરી વગર જાહેર જગ્યા પર આવું આયોજન યોગ્ય છે? સૂત્રો મુજબ, પાલિકાએ મંજૂરી વિના બનાવેલા સર્કલ માટે સંબંધિત સંસ્થાને નોટિસ ફટકારી છે.
સાંસદે પત્રમાં જણાવ્યા મુજબ, આવું સર્કલ બનાવવાનું ઉદ્દેશ્ય રાષ્ટ્રભક્તિ જાગૃત કરવાનો છે અને યુવાનોમાં સેનાબળો અને દેશસેવા અંગે ભાવના ઉભી કરવી છે. જોકે, સંકલનના અભાવ અને પૂર્વ મંજૂરી વિના થયેલી કામગીરીને લઈને હવે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે