વલસાડ, 4 જૂન (હિ.સ.)-વલસાડની શેઠ આર.જે.જે હાઇસ્કુલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વલસાડ અને જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા નિવૃત્ત થનાર કર્મચારીનું સન્માન અને સરકારી અને અનુદાનિત શાળાઓમાં માર્ચ 2025 માં 100% પ્રાપ્ત કરનાર વિષય શિક્ષકોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.રાજે એલ.ટંડેલે ઉપસ્થિત તમામ મહાનુભવોનું સ્વાગત કર્યું હતું. આ સાથે પ્લાસ્ટિક મુકત શાળા અને “ENDING PLASTIC POLLUTION GLOBALLY” અંતર્ગત મિશન લાઈફ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. સન્માન સમારોહ કાર્યક્રમમાં તા.31/05/2025 ના રોજ નિવૃત થનાર અનુદાનિત શાળાના 21 કર્મચારીઓને સન્માન પત્ર સાથે જી.પી.એફ આખરી ઉપાડ, ફોર્મ નંબર-22 તેમજ નિવૃતિ વિષયક તમામ ત્વરિત લાભો કલેકટર ભવ્ય વર્માના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ સાથે વલસાડ જિલ્લાની સરકારી અને અનુદાનિત શાળાના 400 શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં માધ્યમિક વિભાગના 111 શિક્ષકો, વિજ્ઞાન પ્રવાહના 33 શિક્ષકો અને સામાન્ય પ્રવાહના 258 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આર્ય સંસ્કાર ધામ તરફથી સન્માનિત શિક્ષકોને શુભેચ્છા ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે એસ.બી.આઈ મ્યુચ્યુઅલ ફંડના જયેશસિંહ પરમાર અને શૈશવસિંહ ઠાકોર અને જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિના તમામ સંઘના સભ્ય હાજર રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે