પોરબંદર, 5 જૂન (હિ.સ.)
પોરબંદર જિલ્લામાં જે ગ્રામ પંચાયતોની ચૂંટણી છે તે હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. આ ચૂંટણી દરમ્યાન ચૂંટણી હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે આપી શકે તેમજ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં યોજાય તથા વિક્ષેપો ઉભા થાય નહી અને ચૂંટણીના સરળ સંચાલન માટે જાહેર સુલેહશાંતિનો ભંગ થતો અટકાવવા અંગે પોરબંદર જિલ્લાના જી.એ.એસ., અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.
જાહેરનામાં અનુસાર પોરબંદર જિલ્લાની જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયતના વિસ્તારમાં તા. 27/06/2024સુધી અધિકૃત અને સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યકિતઓએ એકત્રિત થવું નહી અથવા કોઈ સભા ભરવી નહી કે કોઈ સરઘસ કાઢવુ નહી. આ નિયમો ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્યકિતને, કોઈ લગ્નના વરઘોડાને, સરકારી ફરજ પરના અધિકારી/કર્મચારી તથા કોઈ સ્મશાન યાત્રાના અપવાદોને લાગુ પડશે નહી.
આ જાહેરનામું પોરબંદર જિલ્લાની જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે ગ્રામ પંચાયતના વિસ્તારની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. તેમજ પોરબંદર જિલ્લાની જે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયતોના વિસ્તારને લાગુ પડશે. આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા- 2023 ની કલમ-223 હેઠળ શિક્ષાને પાત્ર થશે.
તેમજ આ આદેશ અન્વયે પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 અન્વયે ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya