પાટણ, 5 જૂન (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. પાલનપુરની ડી.ડી. ચોકસી કોલેજ ઓફ સેકન્ડરી એજ્યુકેશનમાં યુનિવર્સિટીની મંજૂરી વગર કરવામાં આવેલી ઇન્ચાર્જ પ્રિન્સિપાલની નિમણૂક રદ કરવામાં આવશે.
કોલેજના ટ્રસ્ટે નિયમિત પ્રિન્સિપાલ નિલુબેન ઘોષને પદ પરથી દૂર કર્યા બાદ યુનિવર્સિટીને જાણ કર્યા વિના અને સિનિયોરિટી ધ્યાનમાં લીધા વિના એક અધ્યાપકને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે નિમ્નુક કરી હતી. આ મામલે પૂર્વ પ્રિન્સિપાલે યુનિવર્સિટી સમક્ષ રજૂઆત કરી હતી.
યુનિવર્સિટીની બોર્ડ બેઠકમાં આ મુદ્દે ચર્ચા બાદ કોલેજને આ નિમણૂક તાત્કાલિક રદ કરવા અને નિયમ મુજબ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવશે. કુલપતિએ જણાવ્યું કે, આ નિર્ણય ભવિષ્યમાં અન્ય કોલેજો માટે દાખલો બનશે જેથી કોઈ પણ કોલેજ મનસ્વી રીતે નિયુક્તિ ન કરે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર