ગાંધીનગર, 5 જૂન (હિ.સ.) : અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
'એક પેડમાં કે નામ' અભિયાન અંર્તગત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, અમદાવાદ ગ્રામ્ય સહિત તમામ તાલુકા કચેરી, શાળા વિકાસ સંકુલો, બીઆરસી ભવન, સી.આર.સી ભવન કક્ષાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણાધિકારી કૃપાબેન જ્હાએ વૃક્ષારોપણ અભિયાન સંદર્ભે જણાવ્યું હતું કે 'એક પેડમાં કે નામ' અભિયાન અંર્તગત આગામી સમયમાં શાળાઓ શરૂ થયા બાદ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની લગભગ 1200થી વધુ શાળાઓમાં 'જેટલા વિદ્યાર્થીઓ તેટલા વૃક્ષો'ના મંત્ર સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. શાળાઓમાં, વિદ્યાર્થીઓના ઘરે તથા મહોલ્લામાં વૃક્ષારોપણ કરવા સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓને 'વિશ્વ પર્યાવરણ દિન'ની સંકલ્પના સમજાવી વૃક્ષને ઉછેરવાની જવાબદારી આપી માનવજાતના અસ્તિત્વ માટે વૃક્ષો બચાવવા અને પ્રદૂષણ ઘટાડવા પ્રત્યે જાગૃત કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ