સુરત, 9 જૂન (હિ.સ.)- સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મંત્ર ડ્રીમ હોમ રેસિડેન્સી ખાતે ગર્ભિત વિવાદ સર્જાયો છે. ઘટનાના સંદર્ભે મળતી માહિતી પ્રમાણે, સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે દૂધવાળાને બાઈક બહાર મૂકવાની સલાહ આપી હતી, જેના કારણે દૂધવાળાએ ગુસ્સે આવીને ગાર્ડ પર શારીરિક હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે.
ઘટનાની ફરિયાદ કરવા સોસાયટીના રહીશો ઉત્રાણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ પોલીસે ફરિયાદ લેવામાં ઇનકાર કર્યો હતો. પોલીસનો તર્ક હતો કે ફરિયાદ તો ઈજાગ્રસ્ત વ્યક્તિ અથવા તે કામ કરતી એજન્સી તરફથી આવવી જોઈએ.
આ ઘટના બાદ રહીશોમાં રોષની લાગણી પ્રસરી ગઈ છે. સવાલો ઉઠી રહ્યા છે કે, શું આવી જાહેર મારામારીની ઘટના સામે પણ પોલીસ માત્ર તૃતીય પક્ષની ફરિયાદની રાહ જુએ છે? શું સોસાયટીના હોદ્દેદારને નિવાસસ્થાને બની એંટીસોશિયલ ઘટનાની પોલીસ ફરિયાદ કરવાની મંજુરી નથી? પોલીસ પાસે સીસીટીવી ફૂટેજ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થવી ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
રહીશોએ તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને દોષીઓને કાયદેસર સજા મળે તેવી માંગ ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે