વડોદરા, 9 જૂન (હિ.સ.): વડોદરાના જાંબુવા બ્રિજ નજીક આજે સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક માતાનું દુઃખદ અવસાન થયું છે, જ્યારે તેમની પુત્રી ઘાયલ થઈ છે. નાગરવાડા નવીધરતી વિસ્તારમાં રહેતા શંકરભાઈ ત્રિભોવનભાઈ રાણા તેમના પરિવાર સાથે પોર મંદિરે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
શંકરભાઈ પોતાની એક દીકરી સાથે બાઈક પર અને તેમની પત્ની નયનાબેન તથા મોટી દીકરી પ્રાચી મોપેડ પર હતા. તેઓ જાંબુવા બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી અજાણ્યા વાહનચાલકે મોપેડને અડફેટ મારી દીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડના ખુર્દા થઈ ગયા હતા અને માતા-પુત્રી રોડ પર ઢળી પડ્યા હતા.
નયનાબેનને પગ અને પેટમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે પુત્રીને હાથ પર ઇજા થઈ હતી. બંનેને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં નયનાબેનનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું.
ઘટનાની જાણ થતાં કપૂરાઈ પોલીસ સ્ટેશનના PSI કે.બી. બારિયાએ સ્થળ પર પહોંચી સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે. હાલ માટે આરોપી અજાણ છે અને પોલીસ ટીમે કાર્યવાહી તેજ કરી છે.
સ્થાનિક લોકો અને મૃતકના પરિવારજનોએ આરોપી સામે કડક પગલાં લેવા અને ટ્રાફિક સુરક્ષામાં સુધારાની માંગ ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે