અમરેલી, 15 જુલાઈ (હિ.સ.)અમરેલી જિલ્લામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ધારી તાલુકાના પ્રેમપરા વિસ્તારમાં રહેનારા માથાભારે અને અસામાજિક તત્વ માવજીભાઈ પુનાભાઈ વાઘેલા સામે તાજેતરમાં કાર્યવાહી કરવામાં આવી છે. માવજીભાઈ વાઘેલા વિરુદ્ધ ધારી પોલીસ સ્ટેશનમાં મારામારી, પ્રોહિબિશન સહિતના કુલ 4 ગુનાઓ નોંધાયેલા છે. તેઓ વર્ષ ૨૦૨૨માં પાસા હેઠળ પણ અટકાયતનો સામનો કરી ચૂક્યા છે.
આજ રોજ ધારીના વહીવટી તંત્ર દ્વારા માવજીભાઈ વાઘેલા દ્વારા પ્રેમપરા વિસ્તારમાં સરકારી જમીન પર કરેલું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. આ દબાણની અંદાજિત કિંમત રૂ. 1 લાખ જેટલી હોવાનું અનુમાન છે. વહીવટી તંત્રએ પોલીસ બંદોબસ્તની સાથે સંકલનમાં રહી કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.આ કાર્યવાહીથી જિલ્લામાં સરકારની મિલકત પર દબાણો કરતાં અસામાજિક તત્વો સામે સ્પષ્ટ સંદેશો પહોંચાડાયો છે કે, ગેરકાયદેસર કબ્જા તથા દબાણો કરનારાઓ સામે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પરિસ્થિતિમાં કડક પગલાં લેવામાં આવશે. આવનારા સમયમાં આવા કિસ્સાઓમાં વધુ સઘન તપાસ અને કાર્યવાહી થવાની શક્યતા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek