મહેસાણા, 15 જુલાઈ (હિ.સ.) : મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલની સતત રજુઆતને પગલે 16 જુલાઈથી વડનગર-વલસાડ ટ્રેન (ટ્રેન નં. 20959/20960) હવે આંબલિયાસણ રેલવે સ્ટેશન પર બે મિનિટ માટે રોકાશે. ઉત્તર ગુજરાતના લોકો માટે શુભ સમાચાર સમાન આ નિર્ણયને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવએ મંજૂરી આપી છે.
આ ટ્રેન હવે દરરોજ સવારે 11:47 કલાકે આંબલિયાસણ સ્ટેશન પર પહોંચશે અને 11:49 કલાકે પ્રસ્થાન કરશે. આ નવી સેવા વડનગરથી વલસાડ સુધીની મુસાફરી કરનારા અને ખાસ કરીને આંબલિયાસણ આસપાસના 20થી વધુ ગામોના લોકો માટે ખુબજ લાભદાયી બનશે.
સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે, તેઓ અત્યાર સુધી રેલવે મંત્રાલયને 92થી વધુ પત્રો લખી ટ્રેન સેવા વધારવાની માંગ કરી ચુક્યા છે, અને હવે આંબલિયાસણ સહિત સમગ્ર મહેસાણા લોકસભા વિસ્તારમાં વધુ ટ્રેન સુવિધાઓ મેળવવા માટે સતત પ્રયત્નશીલ છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ