જામનગર, ગાંધીનગર, 18 જુલાઈ (હિ.સ.) : જામનગરના કાલાવડની મામલતદાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર દ્વારા સરકારી યોજના હેઠળ લાખોની છેતરપીંડી કરાતા ગુનો નોંધાયો છે. વિધવા સહાયના નામે 9.54 લાખની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવતા ચકચાર જાગી છે. કાલાવડ તાલુકાની મામલતદાર કચેરી ખાતે છેલ્લા આઠ વર્ષથી આઉટસોર્સ દ્વારા સામાજિક સુરક્ષા શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા ઘ્રુવરાજસિંહ જીવુભા જાડેજા વિરુદ્ધ રાજ્ય સરકારના નાણાંની ઉચાપત કરીને છેતરપીંડી કરવાના ગંભીર આરોપો સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(5), 336(3), 340(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની વધુ વિગત મુજબ આરોપીએ પોતાની ફરજ દરમ્યાન, ફાયદાની નીતિ વિરુદ્ધ જઈને નાયબ મામલતદાર અને ફરીયાદીની જાણ બહાર તેમનાં લોગિન આઈડી અને પાસવર્ડનો દુરુપયોગ કરીને સમાજ સુરક્ષા શાખાની યોજનાઓમાં કુલ 16 લાભાર્થીઓના ખાતાઓ ફરી શરૂ કરી તેમના વળગતાનાઓના એકાઉન્ટ નંબર નાખીને સરકારી સહાયની રકમ પોતાના તરફ વળાવી લીધી હતી.
આ રીતે આરોપી દ્વારા ખોટા દસ્તાવેજો તૈયાર કરી તથા ખોટા રેકોર્ડનો સાચા તરીકે ઉપયોગ કરી કુલ રૂ.9,54,500/- ની સરકારી રકમની છેતરપીંડી કરાયેલ હોવાનું બહાર આવ્યું છે. આ અંગે કાલાવડ મહેકમ શાખાના નાયબ મામલતદાર મહેશભાઈ બાબુભાઈ કમેજળીયા દ્વારા પેલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. હાલમાં આરોપી વિરુદ્ધ ગુનો નૌંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તથા વધુ ઉંડાણપુર્વકની તપાસ માટેના દસ્તાવેજોની પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ