પટના, નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.)
મુખ્યમંત્રી નીતિશ કુમાર 29 જુલાઈના રોજ
બિહારના વૈશાલી જિલ્લામાં વિકસિત, બુદ્ધ સમ્યક દર્શન સંગ્રહાલય-સહ-સ્મૃતિ સ્તૂપનું
ઉદ્ઘાટન કરશે. આ ઐતિહાસિક સ્મારક વૈશ્વિક બૌદ્ધ સમુદાય માટે શ્રદ્ધા અને આકર્ષણનું
કેન્દ્ર બનશે. ચીન, જાપાન, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ, તિબેટ, મ્યાનમાર, ભૂતાન, વિયેતનામ, મલેશિયા, લાઓસ, કંબોડિયા, મંગોલિયા, બાંગ્લાદેશ અને
ઇન્ડોનેશિયા જેવા 15 બૌદ્ધ દેશોના
સાધુઓ ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લે તેવી શક્યતા છે.
આ સ્તૂપનું નિર્માણ, મકાન બાંધકામ વિભાગ દ્વારા કરવામાં
આવ્યું છે.
72 એકર જમીનમાં
ફેલાયેલું આ ભવ્ય સંકુલ, 550.48 કરોડ રૂપિયાના
ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. આ સ્થળ ઐતિહાસિક પુષ્કર્ણી તળાવ અને મડ સ્તૂપની નજીક
સ્થિત છે.
ભગવાન બુદ્ધના પવિત્ર અસ્થિ કળશને, સંગ્રહાલયના પહેલા માળે
સ્થાપિત કરવામાં આવશે, જે 1958-62 ના ખોદકામમાં
મળી આવ્યો હતો અને તે સ્મારકનું મુખ્ય કેન્દ્ર બિંદુ હશે.
સંપૂર્ણપણે પથ્થરોથી બનેલો આ સ્તૂપ, વાંશી પહાડપુર
(રાજસ્થાન) થી લાવવામાં આવેલા 42,373 રેતીના પથ્થરો સાથે ટંગ એન્ડ ગૃવ ટેકનોલોજી દ્વારા જોડવામાં આવ્યો છે. આ
માળખું આધુનિક ભૂકંપ પ્રતિરોધક તકનીકોથી સજ્જ છે. સંકુલમાં ધ્યાન કેન્દ્ર, પુસ્તકાલય, મુલાકાતી કેન્દ્ર, સંગ્રહાલય બ્લોક, એમ્ફીથિયેટર, કાફેટેરિયા, 500 કેડ્બ્લ્યુંસોલાર પાવર
પ્લાન્ટ, પાર્કિંગ અને
અન્ય સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે.
ઓડિશાના કલાકારો દ્વારા બનાવેલ ભગવાન બુદ્ધની પ્રતિમા આ
સ્થળની અનોખી ઓળખ હશે. આ સ્તૂપ વૈશાલીને વૈશ્વિક બૌદ્ધ નકશા પર સ્થાપિત કરશે જ, પરંતુ સ્થાનિક
પર્યટન, સંસ્કૃતિ અને
રોજગારને પણ નવી દિશા આપશે.
વિભાગના સચિવ કુમાર રવિએ જણાવ્યું હતું કે,” બુદ્ધ સમ્યક
દર્શન સંગ્રહાલય-સહ-સ્મૃતિ સ્તૂપ બિહારના સાંસ્કૃતિક વારસા અને વૈશ્વિક બૌદ્ધ
વારસાનું ભવ્ય પ્રતીક છે. આ સ્મારક વૈશાલીને વિશ્વ બૌદ્ધ નકશા પર સ્થાપિત કરશે અને
પર્યટન, સંસ્કૃતિ અને
સ્થાનિક રોજગારને નવી દિશા આપશે.”
હિન્દુસ્થાન સમાચાર / ગોવિંદ ચૌધરી / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ