નવી દિલ્હી, 23 જુલાઈ (હિ.સ.) દેશમાં સાયબર ગુનાઓ અટકાવવા માટે ખાસ
વિકસાવવામાં આવેલી સિટીઝન ફાઇનાન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ
સિસ્ટમ (સીએફસીએફઆરએમએસ) દ્વારા અત્યાર
સુધીમાં 17.82 લાખથી વધુ ફરિયાદોના આધારે કેન્દ્ર સરકારે સાયબર છેતરપિંડીથી લગભગ
5,500 કરોડ રૂપિયાની નાણાકીય રકમ બચાવવામાં સફળતા મેળવી છે.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી બંદી સંજય કુમારે બુધવારે,
રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે,” ગૃહ મંત્રાલય દ્વારા
સ્થાપિત 'ભારતીય સાયબર
ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર'
(આઈ4સી) દેશભરમાં તમામ
પ્રકારના સાયબર ગુનાઓનો સામનો કરવા માટે એક કેન્દ્રિય પદ્ધતિ તરીકે કાર્ય કરી
રહ્યું છે. આ અંતર્ગત, 'નેશનલ સાયબર
ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ'
શરૂ કરવામાં
આવ્યું છે.જ્યાં સામાન્ય નાગરિકો સાયબર ગુનાઓની ફરિયાદો ઓનલાઈન
નોંધાવી શકે છે. મહિલાઓ અને બાળકો સંબંધિત બાબતોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.”
તેમણે માહિતી આપી કે,” નાણાકીય છેતરપિંડીની ઝડપી જાણ કરવા
અને ભંડોળના દુરુપયોગને રોકવા માટે હેલ્પલાઇન નંબર 1930 જારી કરવામાં આવ્યો છે. આ
સાથે, સાયબર ફ્રોડ
મિટિગેશન સેન્ટર (સીએફએમએસ)
પણ કાર્યરત છે, જ્યાં બેંકો, ટેલિકોમ કંપનીઓ
અને રાજ્ય એજન્સીઓના પ્રતિનિધિઓ સાથે મળીને વાસ્તવિક સમયની કાર્યવાહી કરે છે.”
કુમારે જણાવ્યું હતું કે,: સરકારે અત્યાર સુધીમાં 9.42
લાખથી વધુ સિમ કાર્ડ અને બે લાખ 63 હજાર 348 મોબાઇલ આઇએમઇઆઇ નંબર બ્લોક કર્યા છે.જેનો ઉપયોગ
છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં થઈ રહ્યો હતો.”
તેમણે કહ્યું કે,” પોલીસ અને જાહેર વ્યવસ્થા બંધારણની સાતમી
અનુસૂચિ હેઠળ રાજ્યનો વિષય છે, છતાં કેન્દ્ર સરકાર નાણાકીય સહાય, તકનીકી સહાય અને
તાલીમ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમર્થન આપી રહી છે. અત્યાર
સુધીમાં, 33 રાજ્યો અને
કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાયબર ફોરેન્સિક-કમ-તાલીમ પ્રયોગશાળાઓ સ્થાપિત કરવામાં
આવી છે. 24 હજાર 600 થી વધુ કાયદા અમલીકરણ અધિકારીઓ, ફરિયાદીઓ અને ન્યાયિક અધિકારીઓએ તાલીમ મેળવી
છે.”
ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે,” નવી દિલ્હી સ્થિત
રાષ્ટ્રીય સાયબર ફોરેન્સિક પ્રયોગશાળાએ અત્યાર સુધીમાં 12 હજાર 460 કેસોની તપાસમાં
રાજ્યોને મદદ કરી છે. ઉપરાંત, સીવાયસીટી સાયકટ્રેન પોર્ટલ દ્વારા એક લાખથી વધુ પોલીસ
અધિકારીઓની નોંધણી કરવામાં આવી છે, અને 82 હજાર 704 થી વધુ લોકોને પ્રમાણપત્રો પણ પ્રાપ્ત થયા
છે.”
તેમણે માહિતી આપી કે,” રાજ્યો વચ્ચે સંકલન વધારવા માટે
પ્રતિબિમ્બ નામનું એક ખાસ એમઆઇએસપ્લેટફોર્મ અને વિશ્લેષણ મોડ્યુલ શરૂ કરવામાં આવ્યું છે, જે ગુનેગારોની
ભૌગોલિક પ્રવૃત્તિઓ પર નજર રાખી શકે છે. આ દ્વારા, 10 હજાર 599 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, 26 હજાર 096
ઇન્ટરસેપ્ટ અને 63 હજાર 019 સાયબર તપાસ વિનંતીઓ પૂર્ણ કરવામાં આવી છે.”
“અત્યાર સુધીમાં, 17.82 લાખથી વધુ ફરિયાદોના આધારે, સાયબર
છેતરપિંડીથી રૂ. 5,489 કરોડથી વધુની નાણાકીય રકમ બચાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.”
કુમારે માહિતી આપી કે,” આઈટી મધ્યસ્થી અને વર્ચ્યુઅલ એસેટ સર્વિસ પ્રોવાઇડર્સને
નોટિસ મોકલવાની પ્રક્રિયાને, ઝડપી બનાવવા માટે 'સહયોગ' પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 72 આઈટી મધ્યસ્થી અને 35 વીએએસપી તેમાં
જોડાયા છે.”
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / સચિન બુધૌલિયા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ