ગાંધીનગર, 6 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કુડાસણ વિસ્તારમાં ચાલી રહેલી સફાઈ કામગીરીનું સઘન મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન, કુડાસણ ખાતે આવેલી બેંક ઓફ ઇન્ડિયાની શાખાની બહાર ગંદકી જોવા મળી હતી.
જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવાના મહત્વ પર ભાર મૂકતા, નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, બેંક દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ રાખવામાં આવે અને કચરો ફક્ત કચરાપેટીમાં જ નાખવામાં આવે.
આ નોટિસ દ્વારા બેંક ઓફ ઇન્ડિયાને પબ્લિક હેલ્થ બાયલોઝ-૨૦૧૭ ની જોગવાઈઓનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. જો આ સૂચનાઓનું પાલન સુનિશ્ચિત કરવામાં નહીં આવે, તો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વહીવટી ચાર્જ વસૂલવામાં આવશે. વધુમાં, જો સ્વચ્છતાના નિયમોનો ભંગ ચાલુ રહેશે, તો મહાનગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ