પાટણ, 6 જુલાઈ (હિ.સ.) : પાટણ વિધાનસભા મતવિસ્તારના 100 ગામોના નવનિયુક્ત સરપંચો અને સભ્યો માટે ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલના આયોજનમાં અભિવાદન સમારોહ યોજાયો. કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતા રહી હતી. સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તે સરપંચો અને સભ્યોને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા. સાથે જ નવા ચૂંટાયેલા પદાધિકારીઓને ગ્રામ પંચાયતની સત્તાઓ અને જવાબદારીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે સરપંચની ચૂંટણી સૌથી અઘરી હોય છે અને સરપંચો ગામના વિકાસમાં કેન્દ્રસ્થાને હોય છે. તેમણે 100 પંચાયતમાંથી 5 પંચાયતોને ભ્રષ્ટાચારમુક્ત મોડેલ તરીકે વિકસાવવાનું સૂચન આપ્યું. સાથે જ તેમણે ડૉ. કિરીટ પટેલની કાર્યશૈલીની પ્રશંસા કરતા જણાવ્યું કે કિરીટ પટેલના નામથી જ અધિકારીઓ કામ પર લાગી જાય છે.
કાર્યક્રમમાં સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ, પૂર્વ ધારાસભ્ય ચમનજી ઠાકોર, રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને દશરથભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં ડૉ. કિરીટ પટેલે નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવી, ગ્રામીણ વિકાસના કાર્યોમાં સહયોગ આપવા આહ્વાન કર્યું. અગ્રણીઓએ લોકશાહીને મજબૂત બનાવી લોકોના પ્રશ્નોનું નિકાલ લાવવા સહકારની ભાવના રાખીને કામ કરવાની અપીલ કરી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર