વડોદરા, 6 જુલાઈ (હિ.સ.)-વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાના ડભાસા ગામે ઝાડ પર ગળે ફાંસો ખાઇ 28 વર્ષના યુવાને મોતને વહાલું કર્યાની ઘટના સામે આવી છે. મૃતક યુવાન મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી હતો અને સ્થાનિક ગોડાઉનમાં રહેતો હતો. બનાવને પગલે પોલીસએ તપાસ શરૂ કરી છે અને આપઘાત પાછળના કારણો શોધવા સંબંધિત લોકોની પૂછપરછ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમાનસિંહ પ્રતાપસિંહ રાજપૂત નામના યુવાને સવારે સાત વાગ્યા પહેલા ડભાસા ગામે આવેલી ગોડાઉનની બહારના ખેતરમાં આવેલા સપ્તપર્ણી (પારિજાત)ના ઝાડ પર પ્લાસ્ટિકના પટ્ટા અને લોખંડના ક્લેમ્પ વડે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. મૃતક બ્રિજેશ અંબાલાલ પટેલના ગોડાઉનમાં રહેતો હતો અને છેલ્લા કેટલાક સમયથી અહીં રોજગાર સંદર્ભે હતો.
હાલમાં પોલીસ દ્વારા ઘટનાસ્થળની તપાસ કરવામાં આવી રહી છે અને યુવાને આપઘાત શા માટે કર્યો તે જાણવા મિત્ર વર્તુળ અને આસપાસના લોકોની પૂછપરછ ચાલુ છે. યુવાનનું મૃત્યુ શંકાસ્પદ બન્યું હોવાથી તમામ દૃષ્ટિકોણથી તપાસ ચાલુ
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે