પાટણ, 6 જુલાઈ (હિ.સ.) : રાધનપુર-મહેસાણા રોડ પર સેવા સદન સામે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષા અને આઈસર ટેમ્પો વચ્ચે ભયંકર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં રિક્ષા સવાર એક જ પરિવારના ત્રણ સભ્યો – માતા, પુત્ર અને ભાઈનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. રિક્ષા વરણાથી રાધનપુર તરફ જઈ રહી હતી ત્યારે અચાનક આ દુર્ઘટના ઘટી હતી, જેના કારણે રિક્ષાના કૂરચેકૂરચા ઉડી ગયા હતા.
મૃતકોની ઓળખ 30 વર્ષીય વિરમભાઈ રામજીભાઈ નિરાશ્રિત ઠાકોર, 12 વર્ષીય આશિષ પોપટભાઈ નિરાશ્રિત ઠાકોર અને 55 વર્ષીય ગલાલબેન રામજીભાઈ નિરાશ્રિત ઠાકોર તરીકે થઈ છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને બચાવ ટૂકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
હજુ સુધી અકસ્માત કઈ સંજોગોમાં સર્જાયો તેની તપાસ પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં શોક અને દુ:ખની લાગણી છવાઈ ગઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર