સુરત , 22 ઓગસ્ટ (હિ.સ.)- સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વરાછાના માનગઢ ચોક ખાતે વરસાદ વચ્ચે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC)ના આહ્વાન પર આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સવારના 11.30 વાગ્યાથી એક કલાક ચાલેલા આ ધરણામાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર વિરુદ્ધ નારેબાજી કરી. આંદોલન દરમિયાન “વોટ ચોર, ગાદી છોડ”ના સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શનકારીઓએ ચુંટણી પંચ પર આક્ષેપો કર્યા.
વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં લોકસભામાં ચુંટણી પંચ વિરુદ્ધ વોટ ચોર અભિયાન શરૂ કર્યા બાદ દેશભરમાં રાજકીય ચર્ચાનો માહોલ બન્યો છે. લોકસભા ચુંટણી દરમ્યાન એક જ વિધાનસભા બેઠકમાં એક લાખથી વધુ બોગસ મતદારોનો વધારો થયો હોવાના રાહુલ ગાંધીના આક્ષેપ બાદ રાજકીય ગરમાવો વધી ગયો છે. તેના અનુસંધાનમાં સુરત શહેર કોંગ્રેસે આ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે