પાટણ, 24 ઓગસ્ટ (હિ.સ.): રાધનપુર શહેરના નેશનલ હાઇવે પર રામ ઝૂંપડી હોટલ નજીક ખુલ્લી ગટરમાં એક ગાય પડી જતાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ ગૌમાતાને બહાર કાઢી હતી. આ વિસ્તારમાં નેશનલ હાઇવે ઓથોરિટીની ગટર લાઈનો પર ઢાંકણાં ન હોવાથી વારંવાર લોકો, મહિલાઓ અને રખડતાં ઢોર અકસ્માતનો ભોગ બને છે. કેટલાક કિસ્સાઓમાં જાનહાની પણ થઈ ચૂકી છે.
સ્થાનિક નગર સેવક જયાબેન ઠાકોરે જણાવ્યું કે વર્ષોથી નગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. તેમણે સવાલ કર્યો કે શું મોટી જાનહાની બાદ જ તંત્ર જાગશે? ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું નિવાસ આ વિસ્તારમાં હોવા છતાં સમસ્યા યથાવત છે.
રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે. નાગરિકોએ ચિંતા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં વધુ અકસ્માતો થઈ શકે છે. તેથી સલામતી માટે તંત્રે તાત્કાલિક પગલાં લેવાની માંગ ઉઠાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ