કોલંબો, 24 ઓગસ્ટ (હિ.સ.). સરકારી ભંડોળના કથિત દુરુપયોગ કેસમાં 26 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાના કોર્ટના આદેશ બાદ, ગઈકાલે રાત્રે કોલંબોની રિમાન્ડ જેલમાં તેમની તબિયત અચાનક બગડ્યા બાદ, દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
કોલંબો પોસ્ટ અનુસાર, 76 વર્ષીય વિક્રમસિંઘેને, ડોકટરોની સલાહ પર આઈસીયુ માં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ડિહાઇડ્રેશન તેમજ હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે.
વિક્રમસિંઘેની 22 ઓગસ્ટના રોજ સીઆઈડી મુખ્યાલયમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેમને સરકારી ભંડોળના કથિત દુરુપયોગની તપાસના સંદર્ભમાં નિવેદન નોંધાવવા માટે બોલાવવામાં આવ્યા હતા. તેમના પર વર્ષ 2023 માં તેમની પત્નીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા માટે ઇંગ્લેન્ડની યાત્રામાં સરકારી ભંડોળનો દુરુપયોગ કરવાનો આરોપ છે.
આ કેસમાં ધરપકડ કરાયેલા રાનિલ વિક્રમસિંઘેને કોલંબોની કોર્ટે જામીન આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ તેમને 26 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા.
જુલાઈ 2022 થી સપ્ટેમ્બર 2024 સુધી રાષ્ટ્રપતિ રહેલા વિક્રમસિંઘેએ, ગોટાબાયા રાજપક્ષેનું સ્થાન લીધું હતું. આ સમય દરમિયાન તેમને શ્રીલંકાને આર્થિક સંકટમાંથી બહાર કાઢવાનો શ્રેય આપવામાં આવ્યો હતો. આ સાથે, તેમણે છ વખત શ્રીલંકાના વડા પ્રધાન તરીકે પણ સેવા આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ