શિમલા, નવી દિલ્હી, 26 ઓગસ્ટ (હિ.સ.)
હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો પ્રકોપ ચાલુ છે. ભારે વરસાદથી જનજીવન ખોરવાઈ ગયું છે.
સૌથી વધુ વિનાશ પ્રવાસન શહેર મનાલીમાં જોવા મળ્યો હતો, જ્યાં બ્યાસ
નદીના પૂરને કારણે એક રેસ્ટોરન્ટ (શેર-એ-પંજાબ) અને બાહંગ બજારમાં ત્રણ-ચાર દુકાનો
તણાઈ ગઈ હતી. સદનસીબે, આમાં કોઈ જાનહાનિ
થઈ નથી.
મનાલીના ડીએસપી ક્ષમા દત્ત શર્માએ જણાવ્યું હતું કે,” ભયને
સમજીને ગઈકાલે રાત્રે જ રેસ્ટોરન્ટ અને દુકાનો ખાલી કરાવી દેવામાં આવી હતી. તેમ
છતાં, લાખોની સંપત્તિને
નુકસાન થયું છે. મનાલીમાં ભારે વરસાદને કારણે, જનજીવન ખોરવાઈ ગયું છે અને ઘણી
જગ્યાએ પરિસ્થિતિ બગડી ગઈ છે.”
મનાલી અને કુલ્લુ વચ્ચેનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તીન ઢંકાર
નજીક નુકસાન થયું છે, જેના કારણે
વાહનોની અવરજવર પર અસર પડી છે. હાલમાં રાયસન નજીકથી લેફ્ટ બેંક થઈને વાહનોને,
મનાલી મોકલવામાં આવી રહ્યા છે. મનાલીના ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે.
દરમિયાન, મનાલસુ નાળામાં
પાણી ભરાઈ જવાને કારણે, મનાલી શહેરનો
પીવાના પાણીનો પુરવઠો ઠપ્પ થઈ ગયો છે.”
વહીવટીતંત્રે કહ્યું છે કે,” પાણીનું સ્તર ઘટશે ત્યારે જ
પુનઃસ્થાપન કાર્ય શરૂ થશે. મનાલી શહેરના પીવાના પાણીના ગ્રાહકોને, પાણીનો
કાળજીપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.”
કાંગડા જિલ્લામાં પોંગ ડેમનું પાણીનું સ્તર ભયના નિશાનથી
માત્ર એક ફૂટ નીચે પહોંચી ગયું છે. ગઈકાલે રાત્રે પાણીનું સ્તર 1388.65 ફૂટ નોંધાયું
હતું. ડેમનો પ્રવાહ તબક્કાવાર રીતે 75,000 ક્યુસેક સુધી વધારવામાં આવી રહ્યો છે.
વહીવટીતંત્રે લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવા અપીલ કરી છે.
દરમિયાન, હવામાન કેન્દ્ર શિમલાએ આજે ચંબા અને કાંગડા જિલ્લામાં,
ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. કુલ્લુ અને મંડી જિલ્લામાં
ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.જ્યારે ઉના, બિલાસપુર અને
હમીરપુર જિલ્લામાં પીળો એલર્ટ જારી કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું
કે,” રાજ્યમાં 31 ઓગસ્ટ સુધી
વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.”
રાજ્યમાં વરસાદને કારણે ભારે નુકસાન થયું છે. સ્ટેટ
ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ,”સેંકડો રસ્તાઓ બંધ છે. વીજળી પુરવઠો અને પીવાના પાણીની
યોજનાઓને પણ ખરાબ અસર થઈ છે. મોટી સંખ્યામાં વીજળી ટ્રાન્સફોર્મર અને પીવાના
પાણીની યોજનાઓ કામ કરવાનું બંધ કરી દીધું છે.”
હિન્દુસ્થાન સમાચાર / ઉજ્જવલ શર્મા / વીરેન્દ્ર સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ