સચિન બુધૌલિયા
નવી દિલ્હી, 03 ઓગસ્ટ (હિ.સ.) પાકિસ્તાનથી બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે
સંઘર્ષ કરી રહેલા બલૂચિસ્તાન લિબરેશન મૂવમેન્ટે, સ્વતંત્રતા પછી સ્વતંત્ર દેશ
તરીકે તેના સ્વરૂપ, શાસન વ્યવસ્થા
અને સામાજિક વ્યવસ્થા અંગે સંપૂર્ણ યોજના તૈયાર કરી છે અને વૈશ્વિક શક્તિઓને સંદેશ
આપ્યો છે કે,” તેમણે બલૂચિસ્તાનના સંસાધનો વહેંચવા માટે પાકિસ્તાનનો માર્ગ અપનાવવો
જોઈએ નહીં. ફ્રી બલૂચિસ્તાન મૂવમેન્ટના કાર્યકર્તા, મીર યાર બલોચે હિન્દુસ્થાન સમાચાર
સાથે વર્ચ્યુઅલ વાતચીતમાં, બલૂચિસ્તાનની સ્વતંત્રતાની ઘોષણા અને બંધારણના
ડ્રાફ્ટને પણ શેર કર્યો.
એવું કહેવામાં આવ્યું છે કે,” બલૂચિસ્તાન એક ધર્મનિરપેક્ષ
દેશ હશે, જેમાં ધર્મના આધારે કોઈ ભેદભાવ રહેશે નહીં અને દરેક નાગરિકને સ્વેચ્છાએ
કોઈપણ ધર્મનું પાલન કરવાનો અધિકાર હશે. બધા નાગરિકોને સમાન અધિકારો હશે.”
દસ્તાવેજમાં જણાવાયું છે કે,” દેશની શાસન વ્યવસ્થા લોકશાહી
હશે અને બલૂચિસ્તાન, રાષ્ટ્રીય સેનાનું કામ ફક્ત દેશની સરહદોનું રક્ષણ કરવાનું
રહેશે અને સેનામાં સેવા આપતા દરેક અધિકારી કે, સૈનિકને કોઈપણ વ્યાવસાયિક
પ્રવૃત્તિમાં ભાગ લેવાની મનાઈ રહેશે. મિડલ ઇસ્ટ મીડિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (મેમરી) ખાતે, બલુચિસ્તાન
સ્ટડીઝ પ્રોજેક્ટના સલાહકાર મીર યાર બલોચના મતે, બલુચિસ્તાનનું સ્વપ્ન વાસ્તવિકતાથી દૂર નથી.
બલુચિસ્તાન લિબરેશન ચાર્ટરમાં શેર કરાયેલા, સ્વતંત્ર બલુચિસ્તાનના નકશામાં અડધો
ઈરાન અને થોડો દક્ષિણ ભાગ, અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.”
આ વિશે પૂછવામાં આવતા, મીર યાર બલોચે રસપ્રદ માહિતી આપી. તેમણે જણાવ્યું કે,”
ઈરાનની અંદર પણ ઝાહેદાનના બલુચિસ્તાન ધર્મગુરુ અબ્દુલ હમીદના નેતૃત્વમાં,
બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ ત્યાં આ
આંદોલન અને પ્રદર્શન શાંતિપૂર્ણ છે.” તેમણે કહ્યું કે,” ઈરાનના બલુચિસ્તાન ધર્મ
તરફ વધુ ઝુકાવ ધરાવતા હતા પરંતુ હવે, તેમનામાં રાષ્ટ્રવાદી વિચારો વેગ પકડી રહ્યા
છે.”
ઈરાનની વસ્તીના વિતરણની ચર્ચા કરતા તેમણે કહ્યું કે,”
ઈરાનની 50 ટકા વસ્તી
બિન-પર્શિયન છે. બલુચિસ્તાન ઉપરાંત, ઈરાનમાં કુર્દ, અલ-અહવાઝ, લુર,
તુર્મન અને અઝારી
સમુદાયો બિન-પર્શિયન છે અને તેઓ પર્શિયન સમુદાયના, સર્વોચ્ચ નેતા અલી ખામેનીના
નેતૃત્વનો વિરોધ કરે છે.”
મીર યાર બલોચના મતે,”ઈરાનના નિયંત્રણ હેઠળનો બલુચિસ્તાનનો વિસ્તાર, બંદર અબ્બાસ
અને હોર્મુઝના અખાત સુધી ફેલાયેલો છે. જો તે ઈરાનથી મુક્ત થઈ જાય, તો પર્સિયન ગલ્ફ
ચીની આક્રમણના ભયથી મુક્ત થઈ જશે. ઈરાનમાં સત્તા પરિવર્તન પછી વૈશ્વિક શક્તિઓને
ગૃહયુદ્ધનો ભય છે, પરંતુ જો બલોચની
યોજનાનું પાલન કરવામાં આવે તો આ બધું શાંતિપૂર્ણ રીતે થઈ શકે છે.”
આ યોજનાનો ખુલાસો કરતા તેમણે કહ્યું કે,” જો ઈરાનમાં
ખામેનીને હાંકી કાઢ્યા પછી બલુચિસ્તાનને મુક્ત કરવામાં આવે અને કુર્દ, અલ-અહવાઝ, લુર, તુર્મન અને અઝારી
સમુદાયોને તેમના પ્રભાવના વિસ્તારોમાં શાસન આપવામાં આવે, તો ઈરાનમાં
ગૃહયુદ્ધની શક્યતા સમાપ્ત થઈ જશે. આ પછી, તેહરાનમાં ગઠબંધન સરકાર સ્થાપિત થઈ શકે છે. ઈરાનમાં
બલુચિસ્તાન ક્ષેત્રના મુખ્ય શહેરો ઝાહેદાન, બામ,
જીરોફ્ટ, ઈરાનશહર, મીનાબ અને ચાબહાર
છે. જ્યાં ભારત સરકાર ઈરાન સાથે બંદર અને અન્ય વિકાસ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી
છે.”
બલુચિસ્તાન વિસ્તારો પર અફઘાનિસ્તાન સાથેના વિવાદ વિશે
પૂછવામાં આવતા, મીર યાર બલોચે
કહ્યું કે,” દક્ષિણ અફઘાનિસ્તાનમાં કંદહારની દક્ષિણે હેલમંડ, નિમરોઝ, ફરાહ અને રણ
વિસ્તારો બલુચ સમુદાયનું પ્રભુત્વ ધરાવે છે.જ્યારે
બલુચિસ્તાનમાં ચમન, કિલા અબ્દુલ્લા, કિલા સૈફુલ્લાહ, કુચલા અને ઝોબમાં
પશ્તુનોનું પ્રભુત્વ છે.”
તેમણે કહ્યું કે,” અફઘાનિસ્તાનમાં શાસક તાલિબાન સાથે એક
સંમતિ છે કે, અમે આ વિસ્તારોને, એકબીજામાં બદલીશું. આમાં કોઈ મતભેદ કે વિવાદ નથી
કારણ કે, પશ્તુનો અને બલોચ અંગ્રેજો દ્વારા દોરવામાં આવેલી ડ્યુરન્ડ લાઇન સરહદને
સ્વીકારતા નથી.” પાકિસ્તાનમાં બલુચિસ્તાનના વિસ્તાર વિશેની ગેરસમજોને સુધારતા, મીર યાર બલોચે
કહ્યું કે,” બલુચિસ્તાનને સામાન્ય રીતે પાકિસ્તાનના કુલ વિસ્તારનો 44 ટકા માનવામાં આવે
છે, પરંતુ પંજાબ
પ્રાંતના દેરાગાઝી ખાન, રાજનપુર અને
તોંસા જિલ્લાઓ, બલુચ-પ્રભુત્વ ધરાવે છે અને અમે તેમને બલુચિસ્તાનનો એક ભાગ માનીએ
છીએ. આ ઉપરાંત, સિંધમાં કરાચીનો
અડધો ભાગ, જેને માઈ કલાચી
અને લ્યારી કહેવામાં આવે છે, તે પણ બલુચ-પ્રભુત્વ ધરાવે છે. આમ, પાકિસ્તાનના કુલ
વિસ્તારનો લગભગ 64 ટકા બલુચિસ્તાન
છે.”
બલુચિસ્તાનના વર્તમાન શાસન અંગે મીર યાર બલોચે જણાવ્યું
હતું કે,” બલુચિસ્તાનના બળવા પછી, પાકિસ્તાની અધિકારીઓ આ પ્રાંતમાં નિષ્ક્રિય થઈ ગયા છે.
વહીવટમાં ચીનનો ઘણો દખલગીરી છે. કરાચીથી ગ્વાદર બંદર સુધીના રસ્તા પરના માહિતી
બોર્ડ ઉર્દૂ ઉપરાંત ચીની મેન્ડરિન ભાષામાં છે. ચીની ગુપ્તચર એજન્સીઓ પાકિસ્તાનીઓને
મોખરે રાખીને, શાસનની લગામ નિયંત્રિત કરી રહી છે.”
તેમણે કહ્યું કે,” બલુચિસ્તાનમાં ચીનની દખલગીરી અને રસ
બલુચિસ્તાનમાં ખનિજ સંપત્તિ સાથે જોડાયેલો છે, સાથે જ ગ્વાદર બંદર દ્વારા તેલનો સરળ પુરવઠો સુનિશ્ચિત કરે
છે.”
તેમણે કહ્યું કે,” બલુચિસ્તાનને 'ખનિજ સંગ્રહાલય' કહેવામાં આવે છે.
જ્યાં તેલ અને કુદરતી ગેસ ઉપરાંત, 6 મિલિયન ટન સોનું અને લિથિયમ, યુરેનિયમ, તાંબુ, મેગ્નેશિયમ વગેરે જેવા કિંમતી ખનીજોનો ભંડાર મોટી માત્રામાં
છે.બલુચિસ્તાનમાં દરરોજ 33.4
કરોડ ઘન ફૂટ ગેસ
કાઢવામાં આવી રહ્યો છે, જેનાથી
પાકિસ્તાનને 42 અબજ રૂપિયાની
કમાણી થઈ રહી છે.”
બલુચિસ્તાનના સ્વતંત્રતા ચળવળની ચર્ચા કરતી વખતે તેમણે
કહ્યું કે,” હાલમાં, પાકિસ્તાની શાસન
સામે લશ્કર અને લેવી એટલે કે, મહેસૂલ વિભાગનો ઉપયોગ હથિયાર તરીકે થઈ રહ્યો છે.સેનાના કેટલાક કર્મચારીઓ, પાકિસ્તાની પંજાબી અથવા અન્ય
પ્રાંતના લોકો છે. બલૂચ ચળવળના સશસ્ત્ર સંગઠન બલૂચ લિબરેશન આર્મી (બીએલએ) એ એક વિશાળ
વિસ્તાર પર નિયંત્રણ મેળવી લીધું છે. પાકિસ્તાની સેનાનું મનોબળ ખરાબ રીતે તૂટી
ગયું છે અને સેના અને લેવીના અધિકારીઓ અને કર્મચારીઓ બીએલએની દયા પર ટકી રહ્યા છે.
અત્યાર સુધીમાં 800 સૈનિકો બીએલએ સમક્ષ આત્મસમર્પણ કરી ચૂક્યા છે. પોલીસ અને
સ્થાનિક વહીવટીતંત્રમાં બલૂચ લોકોનું વર્ચસ્વ છે અને તેઓ પણ પરોક્ષ રીતે
આંદોલનકારીઓની સાથે છે. બીએલએ ફક્ત તે લોકોને જ નિશાન બનાવી રહ્યું છે જે બલૂચ
વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ જોવા મળે છે.”
બલૂચિસ્તાનમાં હિન્દુઓ અને અન્ય બિન-મુસ્લિમ સમુદાયો સાથેના
વર્તન વિશે વાત કરતા, મીર યાર બલોચે
કહ્યું કે,” બલૂચિસ્તાન સદીઓથી હિંગલાજ ભવાનીનું સ્થાન રહ્યું છે અને આજે પણ બલૂચી
સમુદાય, પોતાને માં હિંગલાજના બાળકો માને છે.” તેમણે કહ્યું, અમે માતા
હિંગલાજના મંદિરને નાની મંદિર કહીએ છીએ. ત્યાં કોઈને તેમની જાતિ કે ધર્મ વિશે
પૂછવામાં આવતું નથી. દરેક વ્યક્તિ માતા પાસેથી આશીર્વાદ લેવા જાય છે અને માતા
દરેકની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. લોકોને બાળકો, સુખ અને સમૃદ્ધિ મળે છે.
તેમણે કહ્યું, અમે બલુચિસ્તાનમાં હિન્દુઓના રક્ષક છીએ. જો કોઈ
હિન્દુને નુકસાન થાય છે, તો અમે તેમના વતી
બમણો બદલો લઈએ છીએ. બીએલએ, સ્પષ્ટપણે જાહેર કર્યું છે કે, જે કોઈ હિન્દુને નિશાન
બનાવશે તેને બલુચનો દુશ્મન ગણવામાં આવશે. તેમણે કહ્યું કે,” ફક્ત હિંગલાજ
ભવાની મંદિર જ નહીં પરંતુ બલુચિસ્તાનમાં 50 થી વધુ મંદિરોનું રક્ષણ અને જાળવણી
કરવાની અમારી જવાબદારી છે.”
ભારત તરફથી બલુચ કાર્યકરોની અપેક્ષાઓ અને બલુચિસ્તાનના
મુક્તિ સંગ્રામ માટે, આંતરરાષ્ટ્રીય સમર્થનના મુદ્દા પર ચર્ચા કરતાં, મીર યાર બલોચ કહે
છે કે,” આ ચળવળને ભારત સહિત કોઈપણ વિદેશી દેશ તરફથી સમર્થન મળી રહ્યું નથી. બલુચ
પોતાની તાકાતના આધારે સમગ્ર સંઘર્ષ લડી રહ્યા છે.”
આ ચળવળના વ્યૂહાત્મક મહત્વનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે,”
જો સંપૂર્ણપણે સ્વતંત્ર અને સાર્વભૌમ બલુચિસ્તાન અસ્તિત્વમાં આવશે, તો સૌથી મોટી વાત
એ હશે કે, અરબી સમુદ્ર અથવા હોર્મુઝના અખાત સાથે ચીનનું જોડાણ સંપૂર્ણપણે ખોવાઈ
જશે, એટલે કે, ચીનની તેલ સપ્લાય
ચેઇન તૂટી જશે. ઈરાનમાં પરિવર્તન પછી ઇઝરાયલ પણ રાહતનો શ્વાસ લઈ શકશે. પાકિસ્તાનનો
પ્રદેશ ગુમાવવાની સાથે, તેની આવકના
સ્ત્રોતો પણ સમાપ્ત થઈ જશે.”
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે,” બલૂચોને યહૂદીઓ સાથે
કોઈ દુશ્મની નથી. અમારા ઇઝરાયલીઓ સાથે પણ સારા સંબંધો છે.”
જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા, પાકિસ્તાન સાથે
તેલ સંશોધન અને માર્કેટિંગ કરારની જાહેરાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે, મીર યાર બલોચે
તેમના સંગઠનના નેતા હાયર્બાયર મારીના તાજેતરના નિવેદનનો ઉલ્લેખ કર્યો.
જેમાં તેમણે યુએસ પ્રમુખને સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે,”
પાકિસ્તાનના લશ્કરી નેતૃત્વએ તેમને ગેરમાર્ગે દોર્યા છે. આ સોદામાં જે તેલ, કુદરતી ગેસ, તાંબુ, લિથિયમ, યુરેનિયમ અને
દુર્લભ પૃથ્વી ખનિજ ભંડાર વિશે વાત કરવામાં આવી રહી છે, તે વાસ્તવિક પાકિસ્તાનના
નથી પરંતુ બલૂચિસ્તાન પ્રજાસત્તાકના છે.જે એક ઐતિહાસિક
રીતે સાર્વભૌમ રાષ્ટ્ર છે અને હાલમાં પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળ છે.”
તેમણે કહ્યું કે,” અમેરિકા દ્વારા આવો કોઈપણ સોદો કુખ્યાત
અને બદમાશ આઇએસઆઇ, જે પાકિસ્તાનની
કટ્ટરપંથી સેના, અલ-કાયદા અને
અફઘાનિસ્તાનમાં હજારો અમેરિકન સૈનિકોના, મૃત્યુ માટે જવાબદાર વિવિધ પ્રોક્સી
જૂથોને પ્રાયોજિત કરે છે,
તેને ટ્રિલિયન
ડોલરના ખનિજ ભંડારનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી એ એક ગંભીર વ્યૂહાત્મક ભૂલ હશે.”
ફ્રી બલૂચિસ્તાન મૂવમેન્ટના નેતાએ એક્સપર એક પોસ્ટમાં,
યુએસ રાષ્ટ્રપતિને ચેતવણી આપી હતી કે,” આ સોદો આઇએસઆઇને વૈશ્વિક આતંકવાદી
નેટવર્કને વિસ્તૃત કરવા માટે આર્થિક શક્તિ આપશે અને તેનો ઉપયોગ ભારત વિરોધી અને
ઇઝરાયલ વિરોધી જેહાદી જૂથોને મજબૂત કરવા માટે કરવામાં આવશે, જે દક્ષિણ એશિયા
અને વ્યાપક આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને વધુ અસ્થિર કરશે. હાયર્બાયર મારીએ સ્પષ્ટપણે
કહ્યું, પાકિસ્તાન દ્વારા
બલૂચિસ્તાનનું શોષણ બંધ કરવું એ ફક્ત બલૂચ લોકો માટે ન્યાયનો વિષય નથી પરંતુ
વૈશ્વિક સુરક્ષાનો પણ વિષય છે. આમાં કોઈ શંકા નથી. બલૂચિસ્તાન વેચાણ માટે નથી. અમે
પાકિસ્તાન, ચીન અથવા અન્ય
કોઈપણ વિદેશી શક્તિને બલૂચ લોકોની સ્પષ્ટ સંમતિ વિના અમારી જમીન અથવા તેના
સંસાધનોનું શોષણ કરવાની મંજૂરી આપીશું નહીં.
તેમણે ઉમેર્યું, આપણી સાર્વભૌમત્વ વાટાઘાટો કરી શકાતી નથી અને
યોગ્ય માલિકી અને સ્વતંત્રતા માટેનો અમારો સંઘર્ષ ગૌરવ અને દૃઢ નિશ્ચય સાથે ચાલુ
રહેશે. અમે યુએસ સહિત આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરીએ છીએ કે તેઓ આ
વાસ્તવિકતાઓને ઓળખે અને બલૂચ લોકોની સ્વતંત્રતા અને તેમના વતન અને કુદરતી સંસાધનો
પર નિયંત્રણ માટેની કાયદેસરની આકાંક્ષાઓને સમર્થન આપે.
મીર યાર બલોચે આશા વ્યક્ત કરી કે,” યુએસ નેતૃત્વ અને અન્ય
વૈશ્વિક શક્તિઓ આ ખતરાને ઓળખશે અને આતંકવાદી ખતરાથી વિશ્વને કાયમી ધોરણે બચાવવા
માટે બલુચિસ્તાનની સ્વતંત્રતાના મહત્વને સ્વીકારશે.”
હિન્દુસ્થાન સમાચાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ