પોરબંદર,6 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરમાં ભારતીય વિદ્યાલય નજીક બે મહિના પહેલા યુવાનનું શંકાસ્પદ મોત થયુ હતુ અને સી.સી.ટી.વી. ફૂટેજ સહિત પી.એમ. રીપોર્ટ બાદ એવુ બહાર આવ્યુ હતુ કે આ યુવાનની હત્યા થઇ છે તેથી ગુન્હો દાખલ થતા કમલાબાગ પોલીસે તાત્કાલિક આરોપીને પકડીને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા એક દિવસના રીમાન્ડ મંજૂર થયા છે. પોરબંદરના છાયાચોકી નજીક ભારતીય વિદ્યાલય પાસે રહેતા રાકેશ કિશોરભાઇ વીથલાણી નામના 42 વર્ષના યુવાનને ભૂતનાથ મંદિરના પટાંગણમાંથી બેભાન હાલતમાં ભાવસિંહજી હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત થયુ હતુ. આથી પોરબંદર અને ત્યારબાદ જામનગર તેનું પી.એમ. કરવામાં આવતા પેટના અંદરના ભાગે ગંભીર ઇજા થવાથી મોત થયાનું બહાર આવ્યુ હતુ.
જેથી સી.સી.ટી.વી. ફૂટેજની મૃતકના ભાઇએ તપાસ કરતા પરેશ ઉર્ફે પરીયો ઉર્ફે લાંબો પરબત ગરચર લાકડાની બારી લઇને જતો હોવાનું દેખાયુ હતુ અને તેની સાથે જ ઝઘડો થતા આ પરીયાએ જ તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યુ હતુ તેથી ગુન્હો દાખલ થયા બાદ કમલાબાગ પોલીસમથના ઇન્સ્પેકટર આર.સી.કાનમીયાના માર્ગદર્શન નીચે પી.એસ.આઈ. એ.બી. દેસાઇ અને તેમની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આરોપી પરેશ ઉર્ફે પરીયા લાંબાને છાયાચોકી નજીકથી પકડી પાડયો હતો. તથા તેની પૂછપરછ હાથ ધર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા ન્યાયમૂર્તિએ તેના એક દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે પોલીસે આ બનાવમાં આગળની પૂછપરછ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya