મહેસાણા, 7 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લામાં રાજ્ય સરકારના મેદસ્વિતામુક્ત અભિયાનને વધુ વેગ આપવા માહિતી કચેરી દ્વારા લોકોને આરોગ્યપ્રદ જીવન માટે જાગૃત કરવામાં આવી રહ્યાં છે. એના એક ભાગરૂપે બાજરાની ઉપયોગિતા વધુ પ્રકાશમાં આવી છે. બાજરો એ માત્ર પરંપરાગત અનાજ નથી, પરંતુ તે પોષકતત્વોથી ભરપૂર એક એવી ખાદ્ય વસ્તુ છે, જે મેદસ્વિતા ઘટાડવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. બાજરામાં રહેલો ફાઇબર લાંબા સમય સુધી ભૂખ લાગવા ન દે અને જંક ફૂડથી દૂર રાખે છે. આના પરિણામે વજન નિયંત્રણમાં રહે છે.
બાજરામાં કાર્બોહાઈડ્રેટ્સ ધીમે પચે છે, જેનાથી બ્લડ શુગરનું લેવલ બેલેન્સ રહે છે અને ઇન્સ્યુલિનનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે. તેનાથી શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી. ઉપરાંત બાજરામાં રહેલું પ્રોટીન ચયાપચયને વેગ આપે છે અને સ્નાયુઓને મજબૂત બનાવે છે. આ રીતે બાજરો વજન ઘટાડવામાં દ્રઢ સહાયક સાબિત થાય છે. મેગ્નેશિયમ, આયર્ન અને B-કોમ્પ્લેક્સ વિટામિન્સ પણ બાજરામાં હોવાને કારણે શરીરની ઊર્જા વધે છે અને થાક ઓછો લાગે છે.
મહેસાણા સહીત ગુજરાતના ઘણા વિસ્તારોમાં બાજરાના રોટલાનો દરરોજના આહારમાં સમાવેશ થાય છે, જે હવે માત્ર સ્વાદ માટે નહીં પણ આરોગ્ય માટે પણ મહત્વનો બની રહ્યો છે. નિયમિત કસરત સાથે બાજરાને રોજિંદા આહારમાં સામેલ કરીને મેદસ્વિતાને પ્રભાવી રીતે દૂર રાખી શકાય છે. આ રીતે બાજરો આપણા જીવનમાં માત્ર ખોરાક નહીં, પણ એક સ્વસ્થ જીવનશૈલી તરફનો દોરી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR