ગીર સોમનાથ જિલ્લામાં ટી.બી.ના દર્દીઓને શોધવા, ૧૦૦ દિવસનું અભિયાન
જિલ્લામાં ૧૫,૦૦૦ વ્યક્તિઓના એક્સ-રે અને ૪૦,૦૦૦ વ્યક્તિનું ટીબી સ્ક્રીનિંગ કરાયું
ગીર સોમનાથ જિલ્લામાં ટી.બી.ના દર્દીઓને


ગીર સોમનાથ 7 ઓગસ્ટ (હિ.સ.) નાગરિક સમાજમાં વણ શોધાયેલા ટી.બી.ના દર્દીઓ શોધી તેમને પૂરતી સારવાર આપી ટી.બીના રોગનો ફેલાવો અટકાવવા તથા આ રોગથી થતા મૃત્યુ અટકાવી રોગ મુક્તિની સફળતાનો દર વધારવાના હેતુસર ટી.બી.ના દર્દીઓને શોધવા ૧૦૦ દિવસનું મહાઅભિયાન શરૂ કરાયું છે. આ રીતે ઝડપથી ટી.બી.ને નિર્મૂલન કરી ગીર સોમનાથને ટી.બી. મુક્ત જિલ્લો બનાવવાની પ્રતિબદ્ધતા આરોગ્ય વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

શરૂઆતના તબક્કાના જ ટી.બી. દર્દીઓને શોધવા માટે જિલ્લામાં ૧૦૦ દિવસ સુધીનું અભિયાન શરૂ છે. આ અભિયાનમાં ગૃહ મુલાકાત કરી આશા બહેનો, આરોગ્ય કાર્યકરો અને સ્વયંસેવી ટી.બી. ચેમ્પિયન વ્યક્તિઓ ઘરની તમામ વ્યક્તિઓની પૂછતાછ કરવામાં આવી રહી છે. આ સઘન તપાસ દરમિયાન જેને ટી.બી. થવાની શક્યતા વધારે છે. તેની યાદી બનાવી યોગ્ય સારવાર સાથે સમજ પૂરી પાડવામાં આવી રહી છે.

જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, જિલ્લામાં ૧૯ મે ૨૦૨૫થી ૧૦૦ દિવસ ટી.બી. કેમ્પેઇન ચાલી રહ્યું છે. જેમાં આરોગ્ય કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો, જેમને ડાયાબિટીસ કે ૬૦ વર્ષથી ઉપરના લોકો વૃદ્વો, ભૂતકાળમાં જેમને ટી.બી. થયો હોય તેવા દર્દીઓ તથા તેમના સગાઓ અને અન્ય નાગરિકો જેમને ટી.બી. થવાની સંભાવના વધુ હોય આવા તમામ લોકોનું પી.એસ.સી.થી એમ્બ્યુલન્સ દ્વારા નજીકની સરકારી એક્સ-રે ફેસિલિટીમાં લઈ જઈ એક્સ-રે પાડી ટી.બી.નું નિદાન કરી આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૧૫,૦૦૦ વ્યક્તિઓના એક્સ-રે કરવામાં આવ્યા છે. તેમજ ૪૦,૦૦૦થી વધુ વ્યક્તિઓનું ટી.બી. સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.

આ રીતે જિલ્લા ક્ષય વિભાગ થકી સઘન અભિયાન થકી ટી.બી.ના દર્દીઓને, ગ્રામ્યસ્તરેથી લઈ અને શહેરી વિસ્તાર સુધી શોધી અને સઘન અભિયાન થકી તેમને સારવાર પૂરી પાડવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande