પાટણ, 7 ઓગસ્ટ (હિ.સ.): પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન પાટણમાં સિંધી સમાજ દ્વારા તેમના ઇષ્ટદેવ ભગવાન ઝૂલેલાલની યાદમાં ચાલીસા વ્રતની ઉજવણી થઈ રહી છે. આ અવસર પર ભરૂચથી ભગવાન ઝૂલેલાલના 26મા વંશજ અને વર્તમાન ગાદેશ્વર પરમ પૂજ્ય ઠાકુર સાઈ મનીષ લાલ સાહેબજીનું પાટણ ખાતે આગમન થયું હતું. શહેરના અગ્રણી વેપારીના ઘરે સાઈજીનું ભવ્ય સ્વાગત અને સામૈયું પણ યોજાયું હતું.
સાઈ મનીષ લાલ સાહેબજીએ પાટણની મુલાકાત દરમિયાન 40 દિવસના વ્રતનું મહત્ત્વ સમજાવ્યું અને ઉપસ્થિત 46 વ્રતધારી ભાઈ-બહેનોને આશીર્વાદ આપ્યા હતા. તેઓએ ઝૂલેલાલ ભગવાનના અમર કથાનું મહત્વ પણ વ્યાખ્યાયિત કર્યું હતું. કાર્યક્રમમાં સિંધી સમાજના અનેક પરિવારો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઝૂલેલાલ મંદિર અને શ્રી હિંગળાજ માતાના મંદિરે અખંડ જ્યોત પ્રજ્વલિત છે, જ્યાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. ઝૂલેલાલ રાસ મંડળના ભજનો પર ભક્તો ભક્તિભાવથી ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર આયોજનમાં મંદિરના પ્રમુખ ખેમચંદભાઈ સહિત રાસ મંડળના તમામ કારોબારી સભ્યોનો સહકાર નોંધપાત્ર રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર