જામનગર, 20 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સપ્ટેમ્બર માસની જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો અને રજૂઆતોને ધ્યાને લઈને તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓને આયોજનબદ્ધ તથા સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ સરકારી વિભાગોને લગતા નવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કાલાવડ તાલુકાના સબ સેન્ટરના કામ, જોડીયા તાલુકાના માર્ગના કામો, સિંચાઇ (પંચાયત), વીજપોલ, એન.એચ.એ.આઇ., પી.જી.વી.સી.એલ., ખેતીવાડી, ગ્રામ પંચાયતોના નવીનીકરણ બાબતના પ્રશ્નો તેમજ જિલ્લા આયોજન કચેરી, જિલ્લા પંચાયત, શિક્ષણ વિભાગ, રેલ્વે વિભાગ, સિંચાઈ વિભાગ(રાજ્ય), વન વિભાગ, પ્રાંત અધિકારીની કચેરીને લગત પ્રશ્ન, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત), માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખાણ અને ખનીજ વિભાગ, સહકારી મંડળીઓને લગત પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટરે સંકલન સમિતિના સભ્યોને સૂચના આપતા જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓ મારફતે લોકો દ્વારા આવેલી રજૂઆતોને અગ્રતા આપીને તેનો સકારાત્મક દિશામાં અને સમય મર્યાદામાં ઉકેલ લાવવામાં આવે તેમજ પડતર કામોનો ઝડપથી નિકાલ આવે, તે જરૂરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt