જામનગર, 21 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગરમાં અનેકવિધિ સેવા પ્રવૃત્તિઓ માટે જાણીતી લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષ શારદીય નવરાત્રિમાં ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. એ પરંપરા મૂજબ આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડમાં તા. ૨૨-૯-૨૫થી તા. ૧-૧૦-૨૫ સુધી સરગમ નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજી સમગ્ર મહોત્સવની વિશેષતાઓ અંગે માહિતી આપી હતી.
પ્રદર્શન ગ્રાઉન્ડમાં સાંઈઠ બાય સાંઈઠ ફૂટના વિશાળ સ્ટેજ પર દીકરીઓ પરંપરાગત તથા અર્વાચિન ગરબાઓ પર રાસ રમશે. લાઈટીંગ અને સાઉન્ડ સિસ્ટમથી સુસજ્જ નૃત્ય એરીના પર તાલીમ મેળવેલ કન્યાઓના રાસોત્સવને હજારો લોકો નિહાળી શકે તે માટે સાત હજાર પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
મહોત્સવની સુરક્ષા વ્યવસ્થા માટે ૨૫થી વધુ ખાનગી સુરક્ષાકર્મીઓ તથા ૧૫થી વધુ સ્વયં સેવકો ખડેપગે રહેશે. સમગ્ર મહોત્સવમાં વિવિધ સંતો-મહંતો સત્તાધીશો, તબીબો વગેરે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અતિથી બનશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt