અમરેલી, 22 સપ્ટેમ્બર (હિ.સ.): વડીયા તાલુકાના બરવાળા બાવળ ગામે ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ સામે આજે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી. ચકાભાઈ સોલંકી નામના માથાભારે શખ્સ દ્વારા લાંબા સમયથી ગૌચરની જમીન પર દબાણ કરાયું હતું. આ મુદ્દે ગ્રામજનો સહિત દિનેશ પરમારે સીધા મુખ્યમંત્રી સુધી લેખિતમાં ફરિયાદ કરી હતી. રજૂઆત બાદ વહીવટી તંત્ર સક્રિય બન્યું અને આજે સવારે જ તંત્રનું બુલડોઝર દબાણ હટાવવા ગામે પહોંચ્યું. ગામના ગૌચરમાં કરાયેલા ગેરકાયદેસર બાંધકામ અને દબાણને દૂર કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી. પોલીસની હાજરીને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો અને સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, ગૌચરની જમીન ગામના પશુઓ માટે જીવનદાયી છે, પરંતુ ગેરકાયદેસર દબાણને કારણે વર્ષોથી પશુઓને ચરવા માટેની જમીન ઘટી રહી હતી. તંત્ર દ્વારા કરાયેલી આ કાર્યવાહીથી ગ્રામજનોમાં સંતોષનો માહોલ જોવા મળ્યો છે.
દિનેશ પરમારે જણાવ્યું હતું કે ગામના ગૌચરમાં દબાણ સામે લાંબા સમયથી તેઓ લડી રહ્યા હતા, પરંતુ અંતે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરતા વહીવટ તંત્રે કાર્યવાહી કરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે ભવિષ્યમાં પણ ગેરકાયદેસર દબાણો સામે આવો જ કડક અભિગમ અપનાવવામાં આવશે. આજે થયેલી આ કામગીરી બાદ બરવાળા બાવળ ગામે ગૌચરનો વિસ્તાર ફરી ખુલ્લો થયો છે. ગામના લોકોએ તંત્રની કામગીરીને વધાવી હતી અને સ્પષ્ટ સંદેશો આપ્યો કે હવે ગેરકાયદેસર દબાણો સહન કરવામાં આવશે નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai