પાટણ, 25 સપ્ટેમ્બર (હિ.સ.)દાદુસિંહ રાજસંગજી ઠાકોરે, 20 સપ્ટેમ્બરે પાટણ શહેરના ખાડીયા મેદાન ખાતે સંમેલન અને રેલી યોજવા માટે મંજૂરી માગી હતી. 22 સપ્ટેમ્બરે શરતી પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ 23 સપ્ટેમ્બરે મામલતદાર કચેરીએ આ પરવાનગી રદ કરી હતી. છતાં આયોજકોએ બળીયા હનુમાન અને બાલાજી મહારાજ ટ્રસ્ટના મેદાનમાં સંમેલન યોજી દીધું હતું.
આ સંમેલનમાં પરવાનગી વિરુદ્ધ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્રિત કરવામાં આવી હતી અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરાયો હતો. સભા દરમિયાન દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી તથા નિયામક મંડળ વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેને કારણે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી.
બી ડિવિઝન પોલીસે ભરતભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી, રમેશભાઈ પટેલ, કાનજીભાઈ દેસાઇ, ડો. શિવરાજભાઈ દેસાઈ, દાદુસિંહ ઠાકોર તથા એક અજાણ્યા વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 57 અને 189(2) હેઠળ ગુનો નોંધ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ